પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા, ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા…

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાને પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં ભારત-પાકિસ્તાન અને કોંગો-રવાન્ડા કટોકટી સહિત અનેક વૈશ્વિક સંઘર્ષ વિસ્તારોમાં તેમણે નોંધપાત્ર રાજદ્વારી પ્રયાસો કર્યા હોવાનો દાવો કરતા ટ્રમ્પે કહ્યું કે તેમને અત્યાર સુધીમાં 4 થી 5 વખત આ પુરસ્કાર મળવો જોઈતો હતો.
તેઓ ફક્ત ઉદારવાદીઓને જ પુરસ્કાર આપે છે
આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમને રવાન્ડા માટે નોબેલ પુરસ્કાર આપવો જોઈએ. કોંગો, અથવા તમે સર્બિયા, કોસોવો કહી શકો છો તેમાંથી ઘણાના નામ આપી શકો છો. તેમણે કહ્યું સૌથી મોટો પુરસ્કાર ભારત અને પાકિસ્તાન માટે આપવો જોઇએ. મને આ પુરસ્કાર ચાર કે પાંચ વખત મળવો જોઈતો હતો. તેમજ તેમણે કહ્યું પણ તે લોકો મને પુરસ્કાર નહિ નહીં આપે કારણ કે તેઓ ફક્ત ઉદારવાદીઓને જ પુરસ્કાર આપે છે.
પાકિસ્તાન ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષ 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમીનેટ કર્યા
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ અને નિર્ણાયક નેતૃત્વ ને ટાંકીને પાકિસ્તાન સરકારે ઔપચારિક રીતે વર્ષ 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કર્યા છે.

આ અંગે X પર એક પોસ્ટમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “તાજેતરના ભારત-પાકિસ્તાન કટોકટી દરમિયાન તેમના નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ અને નિર્ણાયક નેતૃત્વ માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ 2026 માં નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છે.
ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે તેમણે બે પરમાણુ શક્તિઓ વચ્ચેના તણાવને ઓછો કરવામાં મદદ કરી હતી. જે દાવાને ભારત સરકારે વારંવાર નકારી કાઢ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પે એક શાંતિ કરારનો પણ સંકેત આપ્યો હતો, જે તેમણે કહ્યું હતું કે સોમવારે હસ્તાક્ષર કરવામાં આવશે, જેનો હેતુ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રવાન્ડા વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવાનો છે. લાંબા સમયથી ચાલતો પ્રાદેશિક સંઘર્ષ જેમાં તાજેતરના મહિનાઓમાં હિંસા ફરી ભડકી રહી છે. જોકે, હજુ સુધી કરારની વિગતો અસ્પષ્ટ છે.
ટ્રમ્પને અગાઉ સમર્થકો તરફથી અનેક નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને અબ્રાહમ કરાર હેઠળ ઇઝરાયલ અને ઘણા આરબ રાજ્યો વચ્ચે સામાન્યીકરણ કરારોને સરળ બનાવવામાં તેમની ભૂમિકાનો ઉલ્લેખ હતો. જો કે, તેમને પુરસ્કાર આપવામાં આવ્યો નથી.
નોબેલ શાંતિ પુરસ્કાર દર વર્ષે અપાય છે
ઉલ્લેખનીય છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર દર વર્ષે નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા આપવામાં આવે છે. જે શાંતિને પ્રોત્સાહન આપવા અને સંઘર્ષોના ઉકેલ માટેના તેમના પ્રયાસોના આધારે પુરસ્કાર મેળવનારાઓની પસંદગી કરે છે. સમિતિએ ટ્રમ્પની ઉમેદવારી પર ક્યારેય જાહેરમાં ટિપ્પણી કરી નથી.