યુદ્ધવિરામ ભંગ થતા ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પર ભડક્યા! કહ્યું: ‘પાઇલટ્સને પાછા બોલાવો!’

વોશિંગ્ટન ડીસી: સતત 12 દિવસ સુધી એક બીજા પર રોકેટમારો કર્યા બાદ ઈરાન અને ઇઝરાયેલ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધ વિરામ કરાર પર સહમત (Israel-Iran ceasefire) થયા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)એ આ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતના કલાકોની અંદર યુદ્ધ વિરામનો ભંગ રહ્યો હતો. ઇઝરાયલ અને ઈરાન બંને એકબીજા પર યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. ટ્રમ્પે આ અંગે કહ્યું કે તેઓ ઈરાનથી ખુશ નથી પણ ઇઝરાયલથી ખુબ નાખુશ છે.
નેધરલેન્ડ્સના હેગમાં આયોજિત નાટો સમિટ માટે રવાના થતા પહેલા પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે “ઇઝરાયલ, બોમ્બ ફેંકવાનું બંધ કરો. જો તમે એવું કરશો, તો તે એ ગંભીર ઉલ્લંઘન હશે. તમારા પાઇલટ્સને હમણાં જ પાછા બોલાવો.”
ઇઝરાયલનો દાવો:
ઈરાને કતારમાં યુએસ લશ્કરી બેઝ પર હુમલો કર્યો હતો. મંગળવારે વહેલી સવારે ઈરાને ઈઝરાયલ પર અંતિમ મિસાઈ હુમલો કર્યો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા. ત્યાર બાદ યુદ્ધ વિરામ કરાર પર બંને દેશો સહમત થયા હતાં. ઇઝરાયલની સેનાએ જણાવ્યું કે યુદ્ધવિરામ શરૂ થયાના કલાકો પછી ઈરાનીને વધુ એક હુમલો કયો હતો. જો કે ઈરાને આ આરોપને નકારી કાઢ્યો હતો. ઇઝરાયલે કહ્યું કે યુદ્ધવિરામ પછી છોડવામાં આવેલી ઇરાની મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી હતી.
ન્યુક્લિયર વેપન માટે યુદ્ધ:
જો કે આ યુદ્ધની શરૂઆત ઇઝરાયલે કરી હતી. ઇઝરાયલની વાયુસેનાએ ઇરાનની ન્યુક્લિયર સાઈટ્સ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોની પણ હત્યા કરી હતી. ઇઝરાયલ ઈરાન પર પરમાણુ બોમ્બ વિકાવવાનો આરોપ લગાવી રહ્યું છે. જોકે, ઇરાન સતત દાવો કરતુ આવ્યું છે કે તેનો ન્યુક્લિયર પ્રોગ્રામ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઇઝરાયલના પરમાણુ શસ્ત્રો રાખવાની કાયદેસરતા પણ વિવાદિત છે. ઇઝરાયલ એવા ગણતરીના દેશોમાંનો એક છે જેમણે ન્યુક્લિયર નોન-પ્રોલીફરેશન ટ્રીટી(NPT) પર હસ્તાક્ષર કર્યા નથી.