વ્હાઇટ હાઉસમાં થઈ દિવાળીની ઉજવણી: ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી, જાણો શું કહ્યું…

વોશિંગ્ટન ડીસી: ભારતના તહેવારો ભારત પૂરતા સીમિત રહ્યા નથી. ભારતીય તહેવારોની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવણી થાય છે. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો તેનું ઉદાહરણ છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી ઉજવણી કરી છે અને તેમણે ભારત અને ભારતીય-અમેરિકનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
દીવો શ્રદ્ધાનું પ્રતીક છે: ડૉનાલ્ડ ટ્રમ્પ
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા દિવાળીની ઉજવણીના કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દીપ પ્રાગટ્ય કર્યું હતું. દિવાળીના તહેવાર અંગે અંગે ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “થોડી જ વારમાં આપણે અંધકાર પર પ્રકાશના, અજ્ઞાન પર જ્ઞાન અને અનિષ્ટ પર સારાનો વિજય મેળવવાની શ્રદ્ધાના પ્રતીક તરીકે દીવા પ્રગટાવીશું. દિવાળીની ઉજવણી કરનારા લોકો દુશ્મનોની હાર, અવરોધો દૂર કરવા અને બંધકોને મુક્ત કરવાની પ્રાચીન વાર્તાઓને યાદ કરે છે.”

તેમણે વધુમાં કહ્યું કે દીવાની જ્યોત દરેકને “જ્ઞાનના માર્ગ પર ચાલવાની, ખંતથી કામ કરવાની અને આપણા અનેક આશીર્વાદો માટે હંમેશા આભારી રહેવાની” યાદ અપાવે છે.
પીએમ મોદી સારા મિત્ર બની ગયા છે
આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ-ભારત સંબંધો પર વાત કરી, ખાસ કરીને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “મહાન વ્યક્તિ” અને “મહાન મિત્ર” તરીકે પ્રશંસા કરી. તેમણે તાજેતરની ફોન વાતચીતને યાદ કરતા કહ્યું કે વાતચીત “ખૂબ સારી” હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત અંગે ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હું ભારતના લોકોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. મેં આજે તમારા વડા પ્રધાન મોદી સાથે વાત કરી. વાતચીત ખૂબ સારી રહી. અમે વેપાર વિશે વાત કરી… તેમને તેમાં ખૂબ રસ છે”.
રાષ્ટ્રપતિએ નોંધ્યું કે તેમની વાતચીતમાં પ્રાદેશિક સ્થિરતાનો વિષય પણ શામેલ હતો, તેમણે કહ્યું કે, અમે “થોડા સમય પહેલા પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરવા” પર ચર્ચા કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો કે બંને દેશ યુદ્ધમાં નથી.
ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતીય નેતા સાથેના તેમના ગાઢ અંગત સંબંધોનો પુનરોચ્ચાર કર્યો હતો, અને જણાવ્યું હતું કે, “પીએમ મોદી છેલ્લા કેટલાક વર્ષોમાં મારા સારા મિત્ર બની ગયા છે.”