રાફેલ જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવા અંગે દસોલ્ટના CEOનો ખુલાસો; મામલો વધુ ગુચવાયો

પેરીસ: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કર્યા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી લશ્કરી તણાવ ચાલ્યો (India-Pakistan Armed tension) હતો. આ દરમિયાન પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ભારતીય વાયુસેનાના ત્રણ રાફેલ ફાઇટર જેટ (Rafale fighter jets) તોડી પાડ્યા હતાં, એ સમયે ભારતે આ દાવા ફગાવી દીધા હતાં. જો કે થોડા દિવસો બાદ ભારતના CDSએ ફાઈટર જેટ ગુમાવ્યા હોવાની વાત સ્વીકારી હતી. એવામાં રફાલ જેટ બનાવતી કંપની દસોલ્ટ એવિએશનના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યું છે
ફ્રાંસની દસોલ્ટ એવિએશનના ચેરમેન અને CEO એરિક ટ્રેપિયર (Dassault Aviation CEO Eric Trappier)એ ભારતીય વાયુસેના (IAF) ના ત્રણ રાફેલ ફાઇટર જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને ખોટા ગણાવ્યા હતાં. એક ફ્રેન્ચ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રેપિયરે કહ્યું: “ત્રણ રાફેલ તોડી પાડવા અંગે પાકિસ્તાન જે દાવા કરી રહ્યું છે, તે બિલકુલ સાચા નથી.”
‘રાફેલ અજોડ છે’
ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રેપિયરે સ્પષ્ટ કર્યું કે રફાલ ફાઈટર જેટ ગુમાવ્યાનો IAF તરફથી દસોલ્ટને કોઈ સત્તાવાર મેસેજ મળ્યો નથી. જો કે તેમણે સાથે સાથે એક પણ કહ્યું “જ્યારે સંપૂર્ણ વિગતો જાણવા મળશે, ત્યારે વાસ્તવિકતાથી ઘણા લોકોને આશ્ચર્ય થઇ શકે છે.”
પેરિસ એર શો પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રેપિયરે રાફેલ ફાઈટર જેટને એક પ્રીમિયર મલ્ટીરોલ ફાઇટર જેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “જો કોઈને એર ટૂ એર ફાઈટ, જાસૂસી, ગ્રાઉન્ડ સ્ટ્રાઈક, ન્યુક્લિયર ડિટરન્સ અને એરક્રાફ્ટ કેરિયર ડીપ્લોયમેન્ટ માટે સક્ષમ એક જ વિમાન જોઈતું હોય તો, રાફેલ અજોડ છે.”
પાકિસ્તાનનો દાવો:
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે અગાઉ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની સેનાએ ત્રણ રાફેલ સહિત પાંચ ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા અને ભારતીય સૈનિકોને પકડી લીધા હતા. જોકે, આ દાવાની સાબિતી માટે તેમણે કોઈ પુરાવા જાહેર કર્યા ન હતાં.
મામલો ગૂંચવાયો:
ભારતે શરૂઆતમાં કોઈપણ ફાઈટર જેટના નુકશાન અંગેના દવાને ફગાવ્યા હતાં. પરંતુ બાદમાં સિંગાપોરમાં એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતીય વાયુસેનાએ કેટલાક ફાઇટર જેટ ગુમાવ્યા હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, તેમણે ભારતે ગુમાવેલા ફાઇટર જેટની ચોક્કસ સંખ્યા અંગે સ્પષ્ટતા કરી ન હતી.
હવે, દસોલ્ટ એવિએશનના ચેરમેન એરિક ટ્રેપિયરના નિવેદન બાદ આ મામલો વધુ ગૂંચવાયો છે.
આ પણ વાંચો…ઈઝરાયલે ઇરાનના ગેસ ફિલ્ડ અને ઓઇલ ડેપો પર હુમલો કર્યો, ઇરાને પણ વળતો પ્રહાર કર્યો…