શેખ હસીનાને ફાંસીના ચુકાદાને પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને અદાલતે માનવતા વિરુદ્ધના ગુનામાં ફાંસીની સજા ફટકારી છે. ત્યારે આ મુદ્દે શેખ હસીનાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ચુકાદાને પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો છે.
આ ઉપરાંત શેખ હસીનાએ નિર્ણય પહેલાં પોતાના સમર્થકોને મોકલેલા એક વીડિયો સંદેશમાં પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, તેઓ ભલે ગમે તે નિર્ણય આપે, મને તેની પરવા નથી.
આપણ વાચો: બાંગ્લાદેશમાં શેખ હસીનાને ફાંસીની સજા, સુપ્રીમ કોર્ટમાં કરી શકે છે અપીલ…
અવામી લીગને નિષ્પ્રભાવી કરવાનો બદઈરાદો
શેખ હસીનાએ જણાવ્યું કે, મારા વિરુદ્ધ ચુકાદો એક ધાંધલીયુક્ત ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો છે. જેની સ્થાપના અને અધ્યક્ષતા એક બિન-ચૂંટાયેલી સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં કોઈ લોકશાહી આદેશ નથી.
તેઓ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે. ફાંસીની સજાની માંગ વચગાળાની સરકારમાં રહેલા કટ્ટરપંથીઓની છે. તેમજ આ અવામી લીગને નિષ્પ્રભાવી કરવાના બદઈરાદાને ઉજાગર કરે છે.
તેમજ હું આઈસીટી દ્વારા માનવ અધિકારોના ઉલ્લંઘનના અન્ય આરોપોને પણ પાયાવિહોણા ગણાવીને નકારી કાઢું છું. મને મારી સરકારના માનવ અધિકારો અને વિકાસના રેકોર્ડ પર ખૂબ ગર્વ છે.



