ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટનો જમાત-એ-ઇસ્લામીનું રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરવા આદેશ

ઢાકા : બાંગ્લાદેશમાં સતત ચાલી રહેલી રાજકીય ગતિવિધીઓ વચ્ચે રવિવારે સુપ્રીમ કોર્ટે વિચિત્ર નિર્ણય આપ્યો છે. જેમાં પૂર્વ પીએમ શેખ હસીનાએ રાષ્ટ્ર વિરોધી પ્રવુતિ બદલ પ્રતિબંધિત કરેલા પક્ષ જમાતે-ઇસ્લામી પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને દક્ષિણ પંથી પાર્ટી જમાતે-એ-ઇસ્લામીનું રજીસ્ટ્રેશન પુન: સ્થાપિત કરવા આદેશ આપ્યો છે.જેના પગલે આગામી ચૂંટણીમાં પક્ષ હિસ્સો લઇ શકશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય હાલમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર આવ્યાના આઠ માસ બાદ આવ્યો છે.

આપણ વાંચો: ૨૦૨૪માં બાંગ્લાદેશમાં બળવા વખતે સામૂહિક હત્યાકાંડ અને અત્યાચારની કોર્ટે નોંધ લીધી

બાંગ્લાદેશમાં મોટા પરિવર્તનનો સંકેત

સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રવિરોધી પક્ષની નોંધણી પુનઃસ્થાપિત કરવી એ બાંગ્લાદેશમાં મોટા પરિવર્તનનો સંકેત છે. કોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ સૈયદ રિફાત અહેમદની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગે આ આદેશ જાહેર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પરંપરાગત ચૂંટણી ચિહ્ન ” ત્રાજવા” હેઠળ ચૂંટણી લડવાની મંજૂરી આપવી તે ચૂંટણી પંચના વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે. હાઇકોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચે ડિસેમ્બર 2018માં જમાતની નોંધણી રદ કરી હતી. પાર્ટીએ 1971 માં પાકિસ્તાનથી બાંગ્લાદેશની સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો.

આપણ વાંચો: બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરાયું, મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી

સુપ્રીમ કોર્ટે પોતે તેને ચૂંટણી લડવા માટે અયોગ્ય માન્યું હતું

આજે જમાત-એ-ઇસ્લામીની નોંધણી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપનાર સુપ્રીમ કોર્ટે 2013 માં જમાત-એ-ઇસ્લામી પક્ષને રાષ્ટ્રીય ચૂંટણીમાં ભાગ લેવા માટે અયોગ્ય માન્યું હતું. આ સાથે તેમની નોંધણી રદ કરવામાં આવી હતી.

5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા પછી જમાતે વર્ષ 2013ના કોર્ટના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી હતી. આના પર મોહમ્મદ યુનુસે પાર્ટી પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ નોંધણી પુનઃસ્થાપિત કરી છે.

આપણ વાંચો: અમદાવાદમાંથી નકલી ભારતીય પાસપોર્ટ સાથે 40 બાંગ્લાદેશી ગુમ, આ રીતે થયો પર્દાફાશ…

જમાતે આ પ્રતિક્રિયા આપી હતી

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જમાતના વરિષ્ઠ વકીલ મોહમ્મદ શિશિર મણીરે કહ્યું, આજે દાયકાઓથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. અમને આશા છે કે આ નિર્ણય પછી બાંગ્લાદેશમાં એક મજબૂત સંસદ રચાશે. અમને આશા છે કે હવે મતદારો જમાતના ઉમેદવારને પસંદ કરી શકશે.

સુપ્રીમ કોર્ટે જમાત નેતા અઝહરુલ ઇસ્લામને નિર્દોષ જાહેર કર્યા હતા

આ નિર્ણયથી જમાતને વધુ મજબૂતી મળી છે કારણ કે આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ટોચના જમાત નેતા અને મૃત્યુદંડની સજા પામેલા એટીએમ અઝહરુલ ઇસ્લામને નિર્દોષ જાહેર કર્યા હતા.

મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાને ટેકો આપીને ઇસ્લામ પર માનવતા વિરુદ્ધ ગુના કરવાનો આરોપ હતો. વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નજરુલે ઇસ્લામને નિર્દોષ જાહેર કરવાનું સ્વાગત કર્યું.

શેખ હસીનાની પાર્ટી અવામી લીગને વિખેરી નાખી

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે તાજેતરમાં ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી અવામી લીગને વિખેરી નાખી છે. હવે અવામી લીગની ગેરહાજરીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના નેતૃત્વ હેઠળની તેની મુખ્ય હરીફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દેશના રાજકારણમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવી છે. આ દરમિયાન જમાત-એ-ઇસ્લામીની નોંધણી પુનઃસ્થાપિત થવું અનેક સંકતો આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button