પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો વિસ્ફોટ; 6 સૈનિકોના મોત, 5 ઘાયલ

ઇસ્લામાબાદ: હાલ દુનિયાભરની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર છે. પાકિસ્તાનને ડર છે કે ભારત લશ્કરી કાર્યવાહી શરુ કરી શકે છે. એવામાં પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતમાં વિસ્ફોટ થયો હોવાનાં અહેવાલ છે. જેમાં 6 સૈનિકોના મોત થયા છે, જ્યારે 5 ઘાયલ થયા છે.
અહેવાલ મુજબ, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટથી પાકિસ્તાન સેનાના ફ્રન્ટિયર કોર્પ્સના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટ બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
આપણ વાંચો: ‘આખી દુનિયા જાણે છે કે….’, ટ્રેન હાઇજેક મામલે પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો વળતો જવાબ
BLA પર શંકા:
હુમલા માટે જવાબદાર શખ્સોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પાકિસ્તાન સરકાર પ્રાંતમાં આવા હુમલાઓ માટે બળવાખોર જૂથ બલૂચ લિબરેશન આર્મી(BLA)ને દોષી ઠેરવે છે.
આપણ વાંચો: Video: આતંકવાદીઓએ આ રીતે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી; BLAએ વિડીયો શેર કર્યો
બલુચિસ્તાનમાં અશાંતિ:
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત માં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ છે, પ્રાંતમાં અશાંતિ વધી રહી છે. ગયા અઠવાડિયે જ, 30 થી 40 સશસ્ત્ર હુમલાખોરોએ બલુચિસ્તાનમાંથી પસાર થતા એક મુખ્ય હાઇવેને બ્લોકકર્યો અને એક પોલીસ વાનને નિશાન બનાવી હતી, હુમલાખોરોએ પાંચ પોલીસકર્મીઓનું અપહરણ કર્યું હતું.
માર્ચ મહિનામાં, બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ગુડાલર અને પીરુ કુનરીના પર્વતીય વિસ્તારો નજીક લગભગ 500 મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કરી આખી ટ્રેન હાઇજેક કરી લીધી હતી.