પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની દીકરીના કાફલા પર હુમલો: ટોળાંએ કરેલા હુમલાથી માંડ માંડ બચ્યા!

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વિવાદાસ્પદ નહેર પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શનોમાં તણાવપૂર્ણ વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી અને સાંસદ આસિફા ભુટ્ટો ઝરદારી શુક્રવારે પાકિસ્તાનમાં તેમના કાફલા પર થયેલા હુમલામાંથી માંડ માંડ બચી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ પ્રાંતના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત દરમિયાન કરાચીથી નવાબશાહ જઈ રહ્યા હતા.
અહેવાલો અનુસાર નહેર પ્રોજેક્ટ અને કોર્પોરેટ ફાર્મિંગ પહેલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓના એક મોટા ટોળાએ રસ્તો રોકી દીધો હતો અને ત્યારબાદ લાકડીઓ તથા પથ્થરો વડે કાફલા પર હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકારના આ પ્રોજેક્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, અને સરકાર પર સિંધ નદી માંથી પાણી વાળવાનો આરોપ મૂક્યો હતો.
સુરક્ષા દળો દ્વારા તાત્કાલિક કાર્યવાહી
આ હુમલાને કારણે હાઈવે પર થોડા સમય માટે અફરા-તફરી મચી ગઈ હતી, પરંતુ જમશોરો અને હૈદરાબાદ પોલીસ તેમજ આસિફાની અંગત સુરક્ષા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને ભીડ વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, આ હુમલામાં આસિફા ભુટ્ટોને કોઈ ઈજા થઈ નથી.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારીઓ સિંધ સરકારની કથિત રીતે કૃષિ જમીનને કોર્પોરેટ કંપનીઓને સોંપવાની અને વિવાદિત નહેર પરિયોજના દ્વારા પાણીના સંસાધનોના દુરુપયોગના હેતુથી લાવવામાં આવનારી યોજનાથી નારાજ છે. આ યોજનાથી સ્થાનિક લોકોને વિસ્થાપનનો ભય સતાવી રહ્યો છે. આસિફા ભુટ્ટો ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સક્રિય સભ્ય છે અને તાજેતરમાં તેમણે ઘણી જનસભાઓને સંબોધી હતી, જેના કારણે આ વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યો છે.