Air India-Vistara Merger: NCLTએ એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી આપી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Air India-Vistara Merger: NCLTએ એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી આપી

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ વિલીનીકરણ બાદ દેશની બંને મોટી એરલાઈન્સની સંયુક્ત કામગીરી શરૂ થશે, જેનાથી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાની આશા છે. જો કે, સંયુક્ત કંપનીના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. વિસ્તારા, એ ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે. એરલાઈન્સે વર્ષ 2022માં મર્જરની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે.

વિસ્તારા અને એર ઈન્ડિયામાં કુલ 120 પાયલટ ડેપ્યુટેશન પર છે. એર ઈન્ડિયા અને વિસ્તારામાં મળીને 23,500થી વધુ કર્મચારીઓ છે. બંને એરલાઇન્સના પાયલટ અને અન્ય કર્મચારીઓનું પણ નિષ્પક્ષ અને પારદર્શી ધોરણે મર્જર કરવામાં આવશે. વિલીનીકરણના વિવિધ પાસાઓ વિશે કર્મચારીઓને માહિતગાર કરવા આગામી દિવસોમાં વિભાગવાર બેઠકો પણ યોજવામાં આવશે, એમ કંપનીએ જણાવ્યું હતું.

વિસ્તારા અને એર ઈન્ડિયા વચ્ચે લગભગ 120 પાઈલટ પહેલેથી જ ડેપ્યુટેશન પર છે અને બે એરલાઈન્સ વચ્ચેના કર્મચારીઓની હિલચાલ નિષ્પક્ષતા અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મની મદદ લેવામાં આવશે.

Back to top button