ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમદાવાદ વિમાન દુર્ઘટના: અમેરિકા અને બ્રિટન તપાસમાં જોડાશે, બોઇંગ પણ સહયોગ આપવા તૈયાર

અમદાવાદ: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસમાં યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સે મદદ કરવાની ખાતરી આપી છે. અમેરિકા સરકારની એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ ભારત આવનારી યુએસ તપાસકર્તાઓની ટીમનું નેતૃત્વ કરવાની જાહેરાત કરી છે. NTSB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમદાવાદ, ભારતમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનના ક્રેશની તપાસમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને મદદ કરવા માટે US તપાસકર્તાઓની એક ટીમ ભારત જઈ રહી છે.”

NTSB એ ઉમેર્યું હતું કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO) હેઠળના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ, તપાસ સંબંધિત તમામ માહિતી ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી અને દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 માં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થતો હતો.

તપાસમાં સહયોગ આપવા માટે બોઇંગની ટીમ તૈયાર
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે બોઇંગના પ્રેસિડેન્ટ અને સીઇઓ કેલી ઓર્ટબર્ગે જણાવ્યું છે કે, “અમારી ઊંડી સંવેદનાઓ એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ માં સવાર મુસાફરો અને ક્રૂના પ્રિયજનો તેમજ અમદાવાદમાં પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિ પ્રત્યે છે. મેં એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે વાત કરી છે અને તેમને અમારા સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા થતી તપાસમાં સહયોગ આપવા માટે બોઇંગની ટીમ તૈયાર છે.”

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 સંબંધિત NTSB ના સંપર્કમાં છે. FAA, જે યુએસમાં સિવિલ એવિએશનનું નિયમન કરતી સંસ્થા છે, તેણે કહ્યું કે, “જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય ઘટના બને છે, ત્યારે તે દેશની સરકાર તપાસનું નેતૃત્વ કરે છે. જો મદદની વિનંતી કરવામાં આવે, તો NTSB સત્તાવાર US પ્રતિનિધિ હોય છે અને FAA તકનીકી સહાય પૂરી પાડે છે. અમે NTSB ના સંકલનમાં તાત્કાલિક ટીમ મોકલવા માટે તૈયાર છીએ.”

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button