જાપાનના હોકાઈડોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ખતરો ટળ્યો, આફ્ટરશોક્સની હારમાળા!

ટોક્યો: પૂર્વ એશિયાના દેશ મ્યાનમાર અને થાઈલેન્ડમાં માર્ચ મહિને આવેલા વિનાશકારી ભૂકંપ બાદ જાપાનના ઉત્તરીય ટાપુ હોકાઈડોના કુશિરો કિનારે શનિવારે બપોરે 2:07 વાગ્યે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન એજન્સી (JMA) અનુસાર, આ ભૂકંપ 20 કિલોમીટર (12 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે કોઈ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી ન હતી.
આફ્ટરશોક્સની હારમાળા જોવા મળી
મુખ્ય આંચકા બાદ આફ્ટરશોક્સની હારમાળા જોવા મળી હતી. બપોરે 2:19 વાગ્યે તે જ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ સાંજે 4:45 વાગ્યે શિકોકુના કિનારે 3.5ની તીવ્રતાનો અને સાંજે 5:07 વાગ્યે કુશિરો કિનારે વધુ એક 4.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જો કે હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાન કે ઈજાના અહેવાલ મળ્યા નથી. સત્તાવાળાઓ દ્વારા વધુ ધરતીકંપની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
આપણ વાંચો: અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ માટે લદાયો હવે આ નિયમ…
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં મ્યાનમારમાં આવેલા ભીષણ ભૂકંપથી ‘કચ્છ’ના ભૂકંપની યાદો તાજી થઈ હતી. ભૂકંપ બાદ આફટરશોક્સનો સિલસિલો પણ યથાવત રહ્યો હતો. આ ભૂકંપના કારણે 1600થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 3500થી વધારે લોકો ગુમ થયા હતા. નિષ્ણાતો કહે છે કે દર વર્ષે 18 મીમી સુધી એક પ્લેટ ખસે છે. જેના કારણે અનેક ઘણી બધી ઉર્જા સંગ્રહિત થાય છે, ઊર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થઈ શકે છે અને મોટો ભૂકંપ આવે છે. મ્યાનમારમાં પણ કંઈક આવું જ બન્યું. મ્યાનમારમાં આવેલા આ ભૂકંપના કારણે બહોળા પ્રમાણમાં નુકસાન થયું હતું.