આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલાકારોના હિતમાં ક્યારે વિચારશે?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બે દિવસીય યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે બીજા દિવસે નિર્ણાયક તરીકે તજજ્ઞોની જગ્યાએ લાગતા વળગતાઓને બેસાડી દેવામાં આવ્યા છે તેવી ફરિયાદ ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની યોગ મહોત્સવની સ્પર્ધા માટેની માર્ગદર્શિકામાં યુનિવર્સિટીના અનુકૂળ નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે જે સ્પર્ધા કે કૃતિને યોગ્ય ન્યાય ન આપી શકે તેવા નિયમો છે. નાટ્ય ક્ષેત્રમાં વેશભૂષા,પ્રકાશ આયોજન, ટેકનિક (?) વિગેરેના ગુણને સ્પર્ધાના કુલ ગુણ માંથી બાદબાકી કરવામાં આવી છે.

ખરેખર તે નાટકનો પ્રાણ છે. પરંતુ જો ઉપરોક્ત બાબતોને નિયમમાં રાખવામાં આવે તો યુનિવર્સિટીએ તે પ્રોવાઇડ કરવું પડે અથવા તો તેનું બજેટ ફાળવવું પડે. બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી કલ્યાણ ફંડ ભેગું કરવામાં આવે છે પરંતુ તે વિદ્યાર્થીઓ માટે કેટલું વપરાય છે તે પણ તપાસનો વિષય છે. અત્યારનો આ યુવક મહોત્સવ સાંભળવા મળ્યું છે કે ગ્રાન્ટની અપેક્ષાએ ઓછા ખર્ચમાં પતાવી દેવા ની ગણતરી એ યોજવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બહુ મોટું વિદ્યાર્થી કલ્યાણ ફંડ જે વિદ્યાર્થીઓની ફીની સાથે ઉઘરાવવાતું હોય છે તે પડ્યું છે છતાં વિદ્યાર્થીઓ માટે તેનો ઉપયોગ થતો નથી.

નિર્ણાયકોની નિમણૂકમાં નિયમો અનુસાર જે તે કોલેજના સ્પર્ધકો ભાગ લેતા હોય તો તેના પ્રાધ્યાપોને તેમાં નિર્ણાયક તરીકે બેસાડી ન શકાય ઉપરાંત જે તે વિષયના તજજ્ઞ પણ હોવા જરૂરી છે જેણે જિંદગી આખામાં કોઈ કાવ્ય લખ્યું ન હોય તે કાવ્ય નિષ્ફળતામાં નિર્ણાયક તરીકે બેસે તે કેટલું વ્યાજબી છે? જ્યારે કલાકારો સાથે તમે નાતો બાંધો છો ત્યારે તેના ઇમોશનને પણ ધ્યાનમાં રાખવા જોઈએ તેની મહેનતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ માત્ર સરકારી રાહે કાર્ય ન થાય
આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો યુવક મહોત્સવ શરૂ થયો છે.

આમ જુઓ તો આ યુવક મહોત્સવ એ કલાકારોની મશ્કરીરૂપ સાબિત થશે. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવો અને ત્યાર પછી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ અને ત્યાંથી પ્રથમ ક્રમાંકે આવી અને નેશનલ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવો તે દરેક કલાકારનું સ્વપ્ન હોય છે.

પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના આંતરિક રાજકારણમાંથી ઊંચી આવે તો યુવા કલાકારો વિશે વિચારે ને? છેલ્લા ઘણા સમયથી યુવક યુવતીઓ,પદાધિકારીઓએ રજૂઆત કરી હતી પરંતુ કુલપતિ પોતાનું સ્થાન જમાવવામાં વ્યસ્ત હોય અને દાવ પેચ રમવાથી સમય કાઢે તો વિદ્યાર્થીઓ વિશે વિચારી શકે. આવા સંજોગોમાં ઓગસ્ટ મહિનામાં યોજાનાર યુથ ફેસ્ટિવલ છ સાત મહિના મોડો યોજાઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ મહોત્સવનું આયોજન તો કરી નાખ્યું છે.પરંતુ નિર્ણાયકો નિમવામાં સરકારી રાહે કાર્ય કર્યું હોય તેવું દેખાઈ આવે છે. ઉડીને આંખે વળગે તેવી બાબતોમાં નાટ્ય સ્પર્ધાઓ બંધ બારણે એટલે કે ઓડિટોરિયમ માં થવી જોઈએ.અને તે પણ પૂરતા લાઇટિંગ અને તમામ વ્યવસ્થાઓ સાથે તેની જગ્યાએ ભર બપોરે કલાકારોને નાટક ભજવવા માટે કહેવામાં આવે છે. નાટકો નો નંબર મેળવવો હોય તો તેમાં ઘણા પાસાઓ ધ્યાનમાં લેવાના હોય છે જેમાંનું એક પ્રકાશ આયોજન પણ હોય છે.

નિર્ણાયક તરીકે તજજ્ઞોને નીમવામાં આવે તો યોગ્ય ન્યાય થયો ગણાય. પરંતુ અહીં તો એક નિર્ણાયક નાટક વાળા અનુભવી તો બીજા બે એવા નિર્ણાયકો છે જેનું નામ નાટ્ય જગતે સાંભળ્યું નથી. Whatsapp પર નિર્ણાયકોને નિમણૂક પત્ર મોકલી દેવાય છે.

જેમાં સમય 12:00 વાગ્યાનો હોય પરંતુ ત્યાં પહોંચે ત્યારે ખબર પડે કે સ્પર્ધા તો બે કલાક પછી શરૂ થવાની છે. ગમે ત્યારે સ્પર્ધાનો સમય બદલી નાખે પરંતુ નિર્ણાયકોને જાણ કરવાની નહીં. આવી તો ઘણી સ્પર્ધાઓ છે જેમાં પોતાની કોલેજના કલાકારો ભાગ લેતા હોય છતાં નિર્ણાયક તરીકે તે કોલેજના પ્રાધ્યાપકો નિર્ણાયક તરીકે સ્થાન જમાવે ત્યારે સ્વાભાવિક છે કે નિર્ણય બાબતે બીજા કલાકારોને અન્યાય થયા ની લાગણી પણ ક્યારેક અનુભવાય.

આ સંદર્ભે મીનાક્ષી પટેલ, હરીશ રાબા, ડો એન કે ડોબરીયા, વિગેરે પ્રાધ્યાપકો કે જેઓ નિર્ણાયક નક્કી કરવાની પેનલમાં અગ્રેસર છે. ગઈકાલે પણ આ સંદર્ભે ઘણી રજૂઆતો થઈ છે અને ઘણા અખબારોએ તેની નોંધ પણ લીધી છે. ઉપરોક્ત સંદર્ભ કાર્યકારી કુલપતિ નીલમબરી દવેને ફોન કરતા તમામ અધિકારીઓ ત્યાં મળી ગયા હતા.

અને કાર્યકારી કુલપતિએ સ્વીકાર્યું પણ હતું કે અમે આ મહોત્સવનું આયોજન કરવામાં ખરેખર મોડા છીએ કારણકે આગળના કુલપતિએ એટલે કે ડોક્ટર ભીમાણીએ માત્ર રાજકારણમાં રસ લીધો અને વાતાવરણ એટલું બગાડીને ગયા હતા કે સમારકામમાં છ મહિનાના નીકળી ગયા. અત્યારે પરીક્ષાઓ નજીક છે એવા સંજોગોમાં ઘણા કલાકારોએ ભાગ લીધો નથી.

યુવક મહોત્સવ નું આયોજન કરવામાં સરકારી રાહ ન થાય તેના માટે જો યુનિવર્સિટીમાં કોઈ તજજ્ઞ ન હોય તો બહારથી બોલાવીને પણ તેમની સલાહ પ્રમાણે આયોજન કરવાથી કલાકારોને પૂરતો ન્યાય મળે અને સ્પર્ધાનું સ્તર પણ સુધરે. જોકે આવું વર્ષો વર્ષ અધિકારીઓને કહેવામાં આવે છે પરંતુ દર વર્ષે નવા નાકે નવી દિવાળી.

તેમ છતાં સકારાત્મક રીતે વિચારીએ તો યુવક મહોત્સવનું આયોજન તો થયું બે-ચાર કલાકારો કંઈક પ્રોત્સાહન મેળવી અને આગળ વધી સંસ્કૃતિનું જતન કરશે.

છેલ્લે કહેવાનું મન થાય કે વિદ્યાર્થીઓએ પણ જાગૃત થવાની જરૂર છે કે તેમનું ફંડ ક્યાં વપરાય છે કહેવાતા વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓના હિતમાં ક્યારે બોલશે તે પણ જોવાનું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning