અમરિશ ડેર અને અર્જુન મોઢવાડિયાની અટકળો વિશે શું બોલ્યા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ? જુઓ Video

અમદાવાદ: આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે અમદાવાદ ખાતેના કોંગ્રેસ ભવન ખાતે, આ યાત્રાની માહિતી તેમજ ખાસ ખેંસ જાહેર કર્યો હતો.જેમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાંથી પસાર થતી ભારત જોડો ન્યાય યાત્રાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોના સવાલોના જવાબ આપતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
છેલ્લા બે દિવસથી અમરિશ ડેર સહિત કોંગ્રેસના અમુક મોટા નેતાઓના ભાજપમાં ભળવાની અટકળો ચાલી રહી છે. જો કે, અમરિશ ડેરના રાજીનામાં પહેલા તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે પત્રકારોના સવાલોના જવાબ આપતા શક્તિસિંહે કહ્યું હતું કે, ‘ખરેખર આ સવાલ ભાજપને પુછવો જોઈએ કે શા માટે ભાજપને એવી જરૂર પડે છે કે જે નેતાઓ (કોંગ્રેસના નેતાઓ) તમને ભરપેટ ગાળો આપે છે તેને ન માત્ર સભ્ય પદ પરંતુ મંત્રી પણ બનાવી રહ્યા છે, તો એવી શું જરૂર પડી રહી છે?’
પત્રકારો તરફથી બીજો એક પ્રશ્ન આવ્યો હતો કે કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસને એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે છે અને પછી પક્ષ પલટો કરે છે. તેના જવાબમાં શક્તિસિંહે ગોહિલે જવાબ આપતા કહ્યું કે માં બાપ પોતાના બાળકને ખોળામાં બેસાડીને જમાડે છે અને મોટો કરે છે. ત્યાર બાદ મોટા થઈ ગયેલા બાળકની ફરજ આવે છે કે માં બાપને ‘રિ પે’ (પાછું આપવું) કરે. આ સાથે જ અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર અને તેની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં 7 માર્ચે પ્રવેશ કરશે તેના વિશે માહિતી આપતા કહ્યું કે (Rahul gandhi bharat jodo nyay yatra gujarat) 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતનાં ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે. જ્યાં રાહુલ ગાંધી પોતાની પ્રથમ જનસભા ઝાલોદમાં સંબોધશે.
ત્યાર બાદ બીજા દિવસે (8 માર્ચે) દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદ યાત્રા કરશે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના પણ કાર્યક્રમોનું આયોજન છે. ત્યારબાદ 10 માર્ચે તાપીના વ્યારામાં કલ્ચરલ પ્રોગ્રામ અને કોર્નર બેઠકમાં રાહુલ ગાંધી ભાગ લેશે. ત્યાર બાદ 10 માર્ચે જ નવાપુરાથી જ ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.