સાબરકાંઠા

ઈડરમાં પિતા-પુત્રએ વ્યાજખોરના ત્રાસથી કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું, પંથકમાં શોકનો માહોલ છવાયો

ઈડર, સાબરકાંઠાઃ ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે કેટલાક લોકો આપધાત પણ કરી લેતા હોય છે. સાબરકાંઠાના ઇડરમાં જ આવી ઘટના પ્રકાશમાં આવી છે. ઈડરમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પિતા-પુત્રએ કૂવામાં કૂદીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે વ્યાજખોર રૂપિયા લેવા માટે વારંવાર પઠાણી ઉઘરાણી કરતો હોવાથી ફીંચોડ પરિવારના બે વ્યક્તિએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવા માટે પરિવારે માંગણી કરી

પરિવારે આક્ષેપ કર્યો છે વ્યાજખોર ઘરે આવીને ધાકધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવા માટે પરિવારે માંગણી કરી હતી. પિતાએ વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તે આપી દીધા હોવા છતાં પણ વ્યાજખોર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેથી આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું . જો કે, પોલીસને આ બાબતે કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, જેમાં આત્મહત્યાનું કારણ લખેલું હોય! ઘટનાની તપાસ કરતા મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આખરે શા માટે આત્મહત્યા કરી? વ્યાજખોરોને ત્રાસ હતો કે કોઈ બીજું કારણ હતું? તે દરેક દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.

વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી

આ પહેલા પણ મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યાની ઘટના બની હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી. વ્યાખોરોના નામ સાથે એક ચિઠ્ઠી લખીને પતિ, પત્ની અને બાળકે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બનતી રહે છે. વ્યાજખોરો સામે હજી એવી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કે, તેમનામાં કાયદાનો ડર બેસે! પોલીસ અને સરકાર દ્વારા એવી કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? આવા સવાલો અત્યારે થાય તે સ્વાભાવિક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button