પાટણમાં પણ યોજાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો કેવી છે 143મી રથયાત્રાની તૈયારી…
તારીખ 21 જુનથી તારીખ 27 જુન સુધી જગન્નાથ મંદિર ખાતે ભકતો સાથે ભક્તિનો માહોલ જામશે, હજારોની સંખ્યામાં જનમેદની ઉમટશે

પાટણઃ ગુજરાતની બીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાનની રથયાત્રા આગામી તારીખ 27 જુનના રોજ 143 મીએ ભક્તિમય વાતાવરણમાં નગરચર્ચાએ નીકળનાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથોના આયોજનો જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે જેની રૂપરેખા આપવા આજરોજ જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષ આચાર્યએ માહિતી પ્રદાન કરી હતી.
21મી ભગવાન જગન્નાથ સન્મુખ સવારે કેરીનો મનોરથ કરવામાં આવશે
રથયાત્રાના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતાં તેઓએ જણાવ્યું હતું કે, તારીખ 21મી જુને ભગવાન જગન્નાથ સન્મુખ સવારે કેરીનો મનોરથ કરવામાં આવશે. તારીખ 22 જુને સવારે 09.00 કલાકે આનંદ સરોવર પાસે આવેલા પાટણના ગણેશ આશ્રમમાંથી જલ યાત્રા નીકળશે જેમા પાલખીમાં ભગવાનને લઈને વાજતે ગાજતે યાત્રા સુભાષ ચોક,જુના ગંજ બજાર, હિંગળા ચાચર-ઘીવટા નાકાથી બહુચર માતા મંદિર થઈ ને નિજ મંદિરે સવારે 11 કલાક પરત ફરશે, જે જળ ને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરવામાં આવશે અને ભગવાન ઉપર જલાભિષેક કરવામાં આવશે.
22મી જુને સવારે 11 કલાકે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ
તારીખ 22/06/2025 સવારે 11 કલાકે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમા પરંપરાગત માન્યતાના પ્રતિક રૂપ ભગવાનની તબિયતના દુરસ્ત થતા તેમની આંખો દુખવા આવી હતી, તેની યાદમાં ભક્તો ભગવાનને દર સાલની જેમ ચાલુ વર્ષે પણ નેત્ર ચિકિત્સા કરશે. ભગવાનની આંખોને શીતળતા પહોંચે તેવા ભાવથી તેમના નેત્રો ઉપર મધ, ઘી, સાકાર, તુલસી પાન, વરીયાળી, જાયફળ, ગંગા જળ, કેવડા જળ અને ગુલાબ જળ જેવા કુદરતી દ્વવ્યો વડે બનાવેલ શીતળ જળથી છંટકાવ કરીને ભગવાનને આંખે પાટા બાંધીને આરામ માટે મામાના ઘરે મોકલશે.
ભૈરવ મંડળ અને જગન્નાથજી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાશે
તારીખ 23 જુને સાંજે 04 થી 06 સુધી ભૈરવ મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ અને રાત્રે 08 થી 10 કલાક સુધી જગન્નાથજી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાશે. તારીખ 24 જુને રાત્રે 08 થી 10 કલાક સુધી પીડારિયાવાડ આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા યોજાશે. ત્યારબાદ તારીખ 25 જુન સવારે 10 કલાકે ભગવાનનો ચક્ષુ ઉનમિલન કાર્યક્રમ યોજાશે. જેમા સવારે 08 કલાકે ભગવાનને મામાના ઘરેથી પોતાના નિવાસ સ્થાને (મંદિરમાં) પરત લાવવામાં આવશે. ભગવાનની સેવાપૂજા કરીને ભગવાનું નેત્રોદ્ધાર વિધિ કરવામાં આવશે તથા ચક્ષુઓ ઉપરથી પાટા દુર કરવામાં આવશે.
તારીખ 26 જુને સવારે 08 થી 12 દરમ્યાન ભગવાનનો મહા અભિષેક કરાશે. સાંજે ભગવાનના મામેરા ના યજમાન બેબા શેઠના હિમજા સોસાયટી ના નિવાસ સ્થાને મોમેરું ભરાશે અને ત્યારબાદ સૌ ભોજન પ્રસાદી લઈને સાજે 07:00 કલાકથી રાત્રે 10 કલાક સુધી મોમેરાની ભવ્ય યાત્રા યજમાન બેબા શેઠના નિવાસ સ્થાનથી નિકળી મંદિરે આવશે. તારીખ 27 જુને વહેંલી સવારે ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ની વિશેષ પુજા-અચૅના અને મહાઆરતી બાદ બપોરે બે કલાકના નિર્ધારિત સમય અને રૂટ ઉપર ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભગવાન જગન્નાથજી ભકતોને દર્શન આપવા નગરચર્ચાએ નીકળશે.
આપણ વાંચો : : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં