પીએમ વિશ્વકર્મા યોજનાનો બે વર્ષમાં ગુજરાતમાં કેટલા કારીગરોએ લીધો લાભ?

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ભારતીય કારીગરોની કળા અને કૌશલ્ય ફક્ત આર્થિક કમાણીનું સાધન જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર અને આત્મનિર્ભરતાનાં પ્રતીક છે. દેશના આ જ પરંપરાગત કારીગરોને સક્ષમ બનાવવા અને તેમની કળાને વૈશ્વિક ઓળખ આપવાના ઉદ્દેશથી તેમણે વર્ષ 2023માં પોતાના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જાહેર કરી હતી. પરંપરાગત કળાને આધુનિક સ્વરૂપમાં વિકસિત કરવા, કારીગરોને નાણાકીય રીતે સશક્ત અને ટેક્નિકલ રીતે સક્ષમ બનાવવા તથા તેમને નવી તકો ઉપલબ્ધ કરાવવા માટે વડા પ્રધાને આ પ્રયાસ કર્યો છે.
ગુજરાત તેમના આ મહત્વાકાંક્ષી સંકલ્પને સાકાર કરવામાં નોંધનીય ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ ફક્ત બે વર્ષોમાં જ પીએમ વિશ્વકર્મા યોજનાનું અસરકારક અને પરિણામલક્ષી અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે, જેનાથી કારીગરોની ક્ષમતા, કૌશલ્ય અને આર્થિક પરિસ્થિતિમાં નક્કર સુધાર જોવા મળ્યો છે.
₹390 કરોડથી વધુની લોન, 2.14 લાખથી વધુ કારીગરોની ચકાસણીઓ અને 1.81 લાખથી વધુ કારીગરોને તાલીમ સાથે ગુજરાતનું શાનદાર પ્રદર્શન
ગુજરાતમાં પીએમ વિશ્વકર્મા યોજનાના અસરકારક અમલીકરણના આંકડાઓ દર્શાવે છે કે નાણાકીય સશક્તિકરણના ક્ષેત્રે રાજ્યએ ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરી છે. અત્યારસુધીમાં 43,000થી વધુ કારીગરો માટે કુલ ₹390 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 32,000થી વધુ કારીગરોને ₹290 કરોડથી વધુની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન અને ચકાસણીની પ્રક્રિયામાં પણ ગુજરાતે સારું પ્રદર્શન કર્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં 2.14 લાખથી વધુ કારીગરોની ત્રિ-સ્તરીય ચકાસણીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ફક્ત નાણાકીય સહાય સુધી જ સીમિત નથી, પરંતુ કૌશલ્ય વિકાસને પણ આ યોજના પ્રાથમિકતા આપે છે. આ દિશામાં 1.81 લાખથી વધુ કારીગરોએ સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કરી છે, જેનાથી તેઓની નિપુણતા અને કાર્યકુશળતામાં વધારો થયો છે. આ ઉપરાંત, કારીગરોના પ્રશ્નોના ત્વરિત સમાધાન માટે રાજ્યએ એક વિશિષ્ટ હેલ્પડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે, જેના થકી અત્યાર સુધીમાં કારીગરોની 17,500થી વધુ મુશ્કેલીઓ/મુંઝવણોને માર્ગદર્શન આપી તેઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
CSCના માધ્યમથી નોંધણી અને ત્રિ-સ્તરીય વેરિફિકેશન સિસ્ટમથી પારદર્શિતા
ગુજરાતમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોની નોંધણી કૉમન સર્વિસ સેન્ટર (CSC)ના માધ્યમથી કરવામાં આવે છે. અરજી પ્રક્રિયાને પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે રાજ્યમાં ત્રિ-સ્તરીય વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પહેલા સ્તરે લાભાર્થીનું વેરિફિકેશન ગ્રામ પંચાયત અથવા શહેરી સ્થાનિક સંસ્થા (ULB) દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ બીજા સ્તરે મંજૂરી પ્રક્રિયા જિલ્લા અમલીકરણ સમિતિ (DICs) કરે છે અને અંતિમ ચરણમાં વેરિફિકેશનની પ્રક્રિયા MSME-DFOના નેતૃત્વ હેઠળની રાજ્ય સ્તરીય સમિતિ કરે છે. આ ત્રિ-સ્તરીય પદ્ધતિએ પીએમ વિશ્વકર્મા યોજનાની વિશ્વસનીયતા અને પારદર્શિતાને મજબૂત બનાવી છે, જેથી વધુને વધુ કારીગરો કોઈપણ અવરોધ વિના યોજના સાથે જોડાઈ શકે છે.
પીએમ વિશ્વકર્માના માધ્યમથી 18 પરંપરાગત વ્યવસાયોને મળી નવી ઓળખ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ પરંપરાગત વ્યવસાયોને નવી ઓળખ આપી રહી છે, જે ભારતના સાંસ્કૃતિક વારસા અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ યોજનામાં કુલ 18 વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સદીઓથી પોતાની મહેનત અને કૌશલ્યથી સમાજને સેવાઓ આપનારા કારીગરનો સમાવેશ થાય છે.
કોને કોને મળે છે આ યોજનાનો લાભ
આ યાદીમાં ટોપલી, સાદડી અને સાવરણી બનાવનારાથી માંડીને મૂર્તિકાર, પથ્થર કોતરનારા અને હોડી બનાવનારા કારીગરોનો સમાવેશ થાય છે. કુંભાર, દરજી, લુહાર, ધોબી અને મોચી જેવા વ્યવસાયોનો પણ આમાં સમાવેશ થાય છે, જે રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે, સુથાર, કડિયા, સુવર્ણકાર અને તાળા બનાવનારા કારીગરોનો પણ આ યોજનામાં સમાવેશ થાય છે. સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કામ કરતા વાળંદ, માળા બનાવનારા અને રમકડાં બનાવનારા પણ આ યોજનાનો એક ભાગ છે.
આ પણ વાંચો…વિશ્વકર્મા યોજના’ની મૂળ ભાવના ‘સન્માન, સમર્થન અને સમૃદ્ધિ’ છેઃ PM Modi