ગુજરાતે હવાઇ મુસાફરી ક્ષેત્રે ભરી ઉડાન, વર્ષ 2024માં 1.70 કરોડ યાત્રીઓએ મુસાફરી કરી

ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે 1.43 લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 1.70 કરોડ કરતાં વધુ યાત્રિકોએ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે 109.9 હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.
58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ કરાઇ
રાજ્યના નાગરિકોને આપાતકાલિન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે ડિસેમ્બર-2024 સુધીમાં કુલ 58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી. જેમાં 29 ઓર્ગન તથા 29 મેડિકલ ફ્લાઈટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.
કુલ 19 એરપોર્ટ સેવારત
હાલમાં ગુજરાતમાં 04 આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ 19 એરપોર્ટ સેવારત છે. જેમાં
રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂપિયા 394 કરોડના ખર્ચે ડિસામાં એરફોર્સ સ્ટેશનના રન-વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂપિયા 1405 કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
04 એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ
રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 09 એરપોર્ટ, ઇન્ડિયન એરફોર્સના 03 , રાજ્ય સરકાર હસ્તક 04 તથા 03 ખાનગી એરપોર્ટ મળી 04 આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ 19 એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ મહેસાણા, અમરેલી, અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ 04 એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે.
અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર કનેક્ટ કરાશે
આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે.
ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ
યુવાઓને પાયલોટ બનવા માટે તાલીમ પુરી પાડી ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ કુશળ માનવ સંશાધન તૈયાર કરવાના હેતુસર રાજ્ય સરકાર હસ્તક આવેલા મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 250 થી વધારે યુવક-યુવતીઓએ તાલીમ મેળવી છે. જેમાંથી 155 યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ પણ મેળવ્યું છે. આ સિવાય અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થા ગુજરાત ફલાઇંગ કલબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.
રાજ્યમાં ઉડાન યોજના હેઠળ 07 ફ્લાઇટ શરૂ કરવામાં આવી
જ્યારે નેશનલ સિવિલ એવિએશન પોલિસી 2016 અંતર્ગત “ઉડાન “યોજના શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતમાં “ઉડાન” યોજના હેઠળ ભાવનગર-પુણે-ભાવનગર, અમદાવાદ-મુંદ્રા-અમદાવાદ, અમદાવાદ-દીવ-અમદાવાદ, સુરત-દીવ-સુરત, અમદાવાદ-નાંદેડ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ- અમદાવાદ અને અમદાવાદ-જલગાંવ-અમદાવાદ એમ 07 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.