ગાંધીનગરમાં યોજાઈ ગુજરાત NCCની એટ હોમ સેરેમની, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈને ગુજરાતનું નામ રોશન કરનારા NCC કેડેટ્સનું સન્માન ગાંધીનગરમાં લોકભવન ખાતે યોજાયેલી એટ હોમ સેરેમનીમાં કર્યું હતું.
નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC) 2026માં રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યા પછી ગુજરાત NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટ 30 જાન્યુઆરીએ અમદાવાદ પરત આવી છે.
આપણ વાચો: જુઓ તસવીરો: 13 રાજ્યોના NCC કેડેટ્સને મળી ‘રોક ક્લાઇમ્બિંગ’ ટ્રેનિંગ!
ભૂપેન્દ્ર પટેલે NCC છાત્રોને પ્રેરણાત્મક ભાષણ આપ્યું
આ કન્ટિજન્ટએ કેમ્પ દરમિયાન યોજાયેલી વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને શિસ્ત, તાલીમ અને કામગીરીના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખ્યા, તેનાથી ગુજરાતને ગૌરવ અને સન્માન મળ્યા છે.
ભૂપેન્દ્ર પટેલે NCC છાત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, NCC માત્ર સંસ્થા નહીં, પણ એકતા અને અનુશાસન સાથેની આદર્શ જીવનશૈલી શીખવતી પાઠશાળા છે. અનુશાસન વિના વ્યક્તિ આગળ વધી શકતી નથી અને અનુશાસન વિના રાષ્ટ્ર પણ પ્રગતિ કરી શકતું નથી.
આપણ વાચો: ‘સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને’- સ્વચ્છ ભારત મિશનનો દાયકામાં પ્રવેશ
9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા
આ સમારોહમાં મુખ્ય પ્રધાનના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા હતા તેમજ કેડેટ જર્નલ-2026નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર વર્ષે યોજાતી NCCની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ વર્ષે ગુજરાતનું ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર NCC રાજકોટને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાળપણથી જ એકતા અને અનુશાસનના પાઠ શીખ્યા છે, તેમાં NCCનું યોગદાન રહ્યું છે. NCC એવું સંગઠન છે જે દેશના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે સશક્ત બનાવે છે.
વડાપ્રધાન પણ આવા સેવા અને સમર્પણ ભાવથી દેશનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતુ. NCC કેડેટ્સે માત્ર પરેડ ગ્રાઉન્ડમાં નહીં, પરંતુ સમાજસેવામાં પણ જવાબદારી નિભાવી છે. આપત્તિના સમયે સહાય, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન જેવા ક્ષેત્રોમાં તેમની ભૂમિકા પ્રશંસનીય છે.

PMના એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને ચરિતાર્થ કરે છે NCC
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે, NCC વડાપ્રધાનના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને ચરિતાર્થ કરે છે. જ્યારે સમગ્ર ભારતમાંથી યુવાનો એકસાથે તાલીમ લે છે, ડ્રિલ કરે છે અને રાષ્ટ્રધ્વજ નીચે ઊભા રહે છે, ત્યારે આ ભાવ વધુ મજબૂત થાય છે.
ગુજરાતના NCC કેડેટ્સે રિપબ્લિક ડે, કર્તવ્ય પથ પર પરેડ, ગાર્ડ ઓફ ઓનર, પ્રધાનમંત્રી રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજ્યનું નામ ઉજાગર કર્યું છે. આ સિદ્ધિઓના મૂળમાં માત્ર પ્રતિભા નથી, પરંતુ અવિરત શિસ્ત, ટીમવર્ક અને એકતાનું પ્રતિક છે.
આએનસીસી, ગુજરાતના એડીજી મેજર જનરલ બિમલ મોંગાએ રાજ્યમાં એનસીસી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. તેમણે એનસીસીની પ્રવૃત્તિઓના ફલકને વિસ્તારવા માટે રાજ્ય સરકારના સહયોગની પ્રશંસા કરીને આભાર માન્યો હતો. વડોદરા, જામનગર, વિદ્યાનગર અને અમદાવાદ NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયરો અને NCCના કેડેટ્સ આ અવસરે ઉપસ્થિતિ રહ્યાં હતા.



