ગાંધીનગર

ભારત – પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMએ બેઠક યોજી

ગાંધીનગરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ગુજરાતના બોર્ડર વિસ્તારને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ તેમના મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી. આ બેકમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમજ ગુજરાત એકમના ત્રણેય સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોસ્ટગાર્ડ, બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ડીજી, રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી ઉપસ્થિત હતા.

રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી હતી. તેમને ફરજો પર તાત્કાલિક હાજર થવા તથા મંજૂર રજાઓ મુજબ હેડક્વાર્ટર છોડ્યું ન હોય તેમને હેડક્વાર્ટર ન છોડવા પોતાની ફરજો પર તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

મુખ્ય પ્રધાને આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. તેમણે હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી. તેમજ નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થા નો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ સૂચનો કર્યા હતા.

તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્ય પ્રધાને વર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. આ દરમિયાન સુરતના અઠવામાં વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ જે ટીમો છે. આ ટીમો દ્વારા દરેકે દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જે દરિયાઈ પટ્ટી પર વોચ રાખવામાં આવી રહી છે. જો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના જે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે પણ અહીં સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો…ભારતની પશ્ચિમ સીમા પર પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલા નિષ્ફળ, ગુજરાત સરકારની તાત્કાલિક બેઠક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button