ગાંધીનગર

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, કહ્યું ખેડૂતોની આત્મનિર્ભરતા વધશે

2951 ગામના ક્લસ્ટરથી 3.5 લાખથી વધુ ખેડૂતો સુધી પહોંચવાનું વ્યાપક અભિયાન

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat hief Minister Bhupendra Patel) દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન (Developed Agriculture Sankalp Abhiyan)નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

આ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે.

આપણ વાંચો: ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો

દેશભરમાં યોજાશે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ 29મી મેથી 12મી જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો. ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમ જ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે.

આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરાશે.

આપણ વાંચો: વિશ્વકર્મા યોજના’ની મૂળ ભાવના ‘સન્માન, સમર્થન અને સમૃદ્ધિ’ છેઃ PM Modi

3.5 લાખથી વધુ ખેડૂતોને આ અભિયાનનો લાભ મળશે

આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 01 લાખ 2 હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામોના 80 હજાર ખેડૂતો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂત અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લામાં 760 ગામોના 71 હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.

અભિયાન ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવ્યો

આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે.

જો ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રનું તથા ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે.

ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો.

આપણ વાંચો: અર્થતંત્રથી લઈને કાશ્મીર અને ખેડૂતો સુધી, રાષ્ટ્રપતિ Droupadi Murmu ના સંબોધનના મહત્વના મુદ્દાઓ

રાજ્યનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટના દરે વધે છે

સોઇલ હેલ્થકાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે આ બધાના પરિણામે 2001થી 2014 સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર માત્ર 3 ટકા હતો, ત્યારે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટના દરે વૃદ્ધિ કરી રહ્યો હતો.

મુખ્ય પ્રધાને ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડા પ્રધાનના નેતૃત્વ અને દેશની સેનાના જવાનોને અભિનંદન પાઠવતા કહ્યુ કે, જેમ દેશની સીમાઓની સુરક્ષા સતત ખડેપગે રહીને સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ ખેડૂતો કરે છે.

વિકસિત ભારત@2047 માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નવો આયામ પૂરો પાડશે

ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચના ડૉ. મનીષ દાસે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પડકારોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે આઈ.સી.એ.આર ના પ્રયત્નોની વિસ્તૃત જાણકારી આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા રાજ્યના 1.5 કરોડ જેટલા ખેડૂતોને વડા પ્રધાનના લેબ ટુ લેન્ડના વિઝનને સાકાર કરવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નવો આયામ પૂરું પાડશે. તેમણે આ અભિયાન થકી ખેડૂતોને તેમની ખેતીમાં આવતા પડકારોના આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો દ્વારા સમાધાન લાવવા માટે પ્રયાસ કરાશે, તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button