ગાંધીનગર

ગુજરાતમાં શિક્ષણ માટે કરોડોનો ખર્ચ છતાં શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક

ગાંઘીનગરઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સરકાર દ્વારા તેના આંકડા પણ જાહેર કરવામાં આવે છે કે ક્યાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શિક્ષણ માટે મુખ્ય ચાર યોજનાઓ ચાલી રહી છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. આ ચાર યોજનામાં ગુજરાતભરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 13 લાખથી વધુ શાળાના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 724 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

મુખ્ય ચાર યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને 724 કરોડ આપવામાં આવ્યાં

યોજના પ્રમાણે આંકડાની વાત કરવામાં આવે તો, નમો લક્ષ્મી યોજના હેઠળ 10.83 લાખ વિદ્યાર્થીનીઓને 600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજનાનો હેતું ધોરણ 9 થી 12માં ડ્રોપઆઉટ દર ઘટાડવા અને છોકરીઓને સશક્ત બનાવવાનો છે. આ સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.53 લાખ વિદ્યાર્થીઓને 52 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં છે. હવે મહત્વની વાત એ છે કે, શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં સરકારી શાળાઓમાં સંખ્યા કેમ ઘટી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં લગભગ 1 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી આશરે 1,68,000 વિદ્યાર્થીઓ શાળા છોડીને જવાના હોવાનો અંદાજ છે. જેથી આગામી શાળા પ્રવેશોત્સવ 2025 ના ભાગ રૂપે આ વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ શાળા છોડીને ના જાય તે માટે સરકારે શું કામગીરી કરી?

આ વિદ્યાર્થીઓ શાળા છોડીને ના જાય તે માટે રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રારંભિક ચેતવણી પ્રણાલી લાગુ કરી છે. જે વિદ્યાર્થીઓ શાળા છોડવાનું વિચારી રહ્યાં છે. તેમાં EWS દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવશે આ 1,68,000 બાળકો શાળાકીય શિક્ષણ ચાલુ રાખે. જેના માટે તે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને શાળા પ્રવેશોત્સવમાં આમંત્રિત કરવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, બાળકો કેમ સરકારી શાળા છોડવા માંગે છે?

ગુજરાતમાં શાળા છોડી દેવાના પ્રમાણમાં સારો એવો ઘટાડો થયો

સારી વાત એ છે કે, શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારથી ગુજરાતમાં શાળા છોડી દેવાના પ્રમાણમાં સારો એવો ઘટાડો થયો છે. વર્ષ 2001-02 માં, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનો શાળા છોડી દેવાનો દર 37.22% હતો તે હવે વર્ષ 2023-24 માં ઘટીને 2.42% થઈ ગયો છે. આ ખરેખર સારી વાત છે. પરંતુ તેમ છતાં પણ જો કે, 1,68,000 બાળકો શાળા છોડતા હોવાની સંભાવના હોય છે તે રાજ્યમાં ચિંતાનો વિષય છે. જેથી આ મામલે રાજ્ય સરકારે ખૂબ જ ઊંડો વિચાર વિમર્શ કરવાની જરૂર છે.

આ પણ વાંચો…ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ-1, 2 કેટલી જગ્યાઓ ખાલી છે? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button