અમદાવાદમાં 188 વ્યક્તિઓને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે મળશે ભારતીય નાગરિકતા

ગાંધીનગર: દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી તા.18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.
જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરાશે. અમદાવાદ ખાતે આયોજીત આ સમારોહ પડોશી દેશોમાં દમનનો ભોગ બનેલા આવા વ્યક્તિઓના કલ્યાણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રમાણપત્રોનું વિતરણ સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) ના અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નિર્ણાયક પગલું સાબિત થશે.
આ પણ વાંચો: Partition Horrors Remembrance Day: વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભાગલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી
ભારતીય નાગરિકતા પત્ર એનાયત કાર્યક્રમ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવશે. તમામ નાગરિકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળી રહે તે માટે આ કાયદા હેઠળ નાગરિકોને મળતા તમામ લાભો અપાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.