ગાંધીનગર

એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર

ગાંધીનગરઃ ગુજરાત સહિત ભારતભરમાં ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાના તેમજ રાજ્ય પ્રધાન મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ-સોશિયલ ફોરેસ્ટી રૂપે અનેકવિધ નવીન પહેલ શરૂ કરવામાં આવી હતી.

વન બહારના વિસ્તારોમાં ૧,૧૪૩ ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. પર્યાવરણના જતન માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ.૨,૫૮૬ કરોડ હતું જે આ વર્ષે ૨૦૨૫-૨૬માં ૨૦ ટકા વધારીને રૂ.૩,૧૩૯ કરોડ કર્યું હતું.

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલના ભાગરૂપે વન વિભાગની સામાજિક વનીકરણ પાંખ દ્વારા સમગ્ર રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજે ૧૪,૯૩૯.૬૦ હેક્ટર અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧,૦૦૦ હેક્ટર આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટર વિસ્તારમાં ખેડૂતલક્ષી વાવેતર કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ અંતર્ગત ગત વર્ષે વન વિભાગ દ્વારા હરીત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ એમ ચાર નવીન યોજનાઓમાં પણ અમલી બનાવવામાં આવી છે.

રાજ્યમાં હરિત વન પથ યોજના હેઠળ કુલ ૭૦ હેક્ટર વિસ્તારમાં, પંચ૨ત્ન ગ્રામ વાટિકા મોડેલ હેઠળ કુલ ૧,૦૦૦ ગામડાંઓમાં તેમજ પંચરત્ન વાવેતર મોડેલ હેઠળ કુલ ૬૫ અમૃત સરોવર ફરતે વૃક્ષોનું વાવેતર ક૨વામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કુલ ૨૧૧ વન કુટીર, સમગ્ર રાજ્યમાં કુલ ૨૦ પંચવટી કેન્દ્ર, રાજ્યમાં કુલ ૫૮ પવિત્ર ઉપવન તૈયાર ક૨વામાં આવ્યા છે. સામાજિક વનીકરણ અંગે જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૬ કિસાન શિબિર, કુલ ૬૬ મેડિકલ કેમ્પ તેમજ રાજ્યમાં કુલ ૬૬,૦૦૦ કલમી ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક પુનિત વન સાકાર થયું, ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્વારણના રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.

ગુજરાતમાં કુલ ૨૩ સાંસ્કૃતિક વનોનું નિર્માણ ક૨વામાં આવ્યું છે. છેલ્લે ગત વર્ષ ૨૦૨૪માં ૭૫માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી દરમિયાન દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રીય વૃક્ષ વડના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને લોકહૃદયમાં સ્થાપિત કરવા માટે કુલ ૮૨ સ્થળોએ નમો વડ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩૦૦ હેક્ટર વિસ્તારમાં ૨૦૭ વન કવચ તૈયાર ક૨વામાં આવ્યા છે.

સમુદ્ર કિનારે આવેલા ખારાપટ અને બંજર એવા ધોલેરા વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવીન ગ્રીન પ્રકલ્પના ભાગરૂપે ધોલેરા SIR ખાતે ૨૫ હેક્ટરમાં વન કવચ-માઇક્રો ફોરેસ્ટ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઐતિહાસિક બંદર એવા લોથલ ખાતે એપ્રોચ રોડ પર ૨૦ હજારથી વધુ વૃક્ષો તેમજ નેશનલ હેરિટેજ મેરિટાઈમ કોમ્પ્લેક્ષની આસપાસ પાંચ હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો….સૌરાષ્ટ્રમાં પવનની તેજ ગતિના પરિણામે સતત પાંચમા દિવસે ગિરનાર રોપ-વે સેવા બંધ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button