બનાસકાંઠાઃ કાંકરેજના ઉંબરી ગામમાં માતા-પુત્ર સહિત ત્રણ લોકો વીજ કરંટથી મોત, ગામમાં શોકનો માહોલ…

બનાસકાંઠાઃ જિલ્લાના કાંકરેજનાં ઉંબરી ગામમાં મહિલા સહિત બે બાળકોના વીજ કરંટ લાગતા મોત થયું હતું. ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા સહિત બે બાળકોના મોત થતાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ ફૂવારાનાં કારણે વીજ પ્રવાહ ફેલાઈ જતાં ત્રણેયનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
કેવી રીતે બની ઘટના
મળતી વિગત પ્રમાણે, બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં ઉંબરી ગામમાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી એક મહિલા અને બે બાળકોને ભારે વીજ તારમાંથી વીજ કરંટ લાગ્યો હતો. ખેતરમાંથી વીજળી વિભાગની એક હાઇ વોલ્ટેજ લાઇન પસાર થતો હતો. ખેતરમાં ચાલતા ફૂવારાને કારણે આખા ખેતરમાં વીજ કરંટ ફેલાઈ ગયો હતો. આ વાતથી બિલકુલ અજાણ મૃતક મહિલા રોજની જેમ ઘાસચારો લેવા ખેતરમાં ગઈ હતી. જોકે, ફૂવારામાંથી પાણી વહેતું બંધ થતાં જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં, માતા-પુત્ર અને પડોશમાં રહેતી બીજી એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ શિહોરી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં નાનીભાગોળ કહારવાસમાં ઉત્તરાયણમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી નવ વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. મકાન પાછળથી વીજળી વિભાગની પસાર થઈ રહેલી અગિયાર હજાર કિલોવોટની વીજ લાઇનમાં ફસાયેલા પતંગને કાઢવા જતી હતી ત્યારે એકાએક વીજળીનો કરંટ લાગતા શરીર ભડથું થઈ ગયું હતું.
આપણવાંચો: અમદાવાદમાં દરરોજ આટલા લોકો નશામાં વાહન ચલાવતા ઝડપાય છે, જાણો વિગત