બનાસકાંઠામાં એસએમસીના પીઆઈ AV પટેલના માતા-પિતાની હત્યા, લાખણીના જસરા ગામે બની ઘટના…

બનાસકાંઠાઃ ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, છાશવારે એક હત્યાનો ઘટના પ્રકાશમાં આવતી હોય છે. અત્યારે બનાસકાંઠામાં 2 લોકોની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે, લાખણીના જસરા ગામમાં આ હત્યાનો બનાવ બન્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલ માં ફરજ બજાવતા પીઆઇ એ.વી પટેલના માતા-પિતાની હત્યા થઈ છે. અજાણ્યા શખ્સોએ પીઆઇ એ.વી પટેલના પિતા વર્ધાજી પટેલ અને માતા હોશીબેન પટેલની હત્યા કરી છે.
દંપતીની હત્યાને લઈને જસરા ગામના લોકોમાં ભારે રોષ
વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને ખેતરમાં રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. હત્યાની ઘટનાને પગલે આગથળા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દીધી છે. દંપતીની હત્યાને લઈને જસરા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે શા માટે પીઆઈના માતા-પિતાની હત્યા કરવામાં આવી? કોણ હતા એ હત્યારા? આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.
અત્યારે હત્યાના બનાવ સ્થળ પર આગથળા પોલીસ સાથે સાથે જિલ્લા પોલીસ પણ પહોંચી ગઈ છે. પીઆઈના માતા-પિતાની હત્યા થઈ હોવાથી પોલીસ દ્વારા વધારે ઝડપી કામ કરવામાં આવી શકે છે. પીઆઇ એ.વી પટેલના માતા-પિતા ખેતરમાં તેમના ઘરે સૂઈ રહ્યાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાથમિક તપાસ પ્રમાણે લૂંટ અને ચોરીના આશયથી હત્યા થઈ હશે
બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ મીડિયા સાથે વાત કરતા જમાવ્યું કે, હત્યારાઓ કાનની બૂટીઓ અને પગના કડલા પણ કાપીને લઈ ગયાં છે. ઘરની તિજોરી પણ તૂટેલી હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ લૂંટ અને ચોરીના આશયથી આ હત્યા કરવામાં આવી છે. આગળની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે તેવું પણ એસપીએ જણાવ્યું છે.
આપણ વાંચો : ઘોર કળિયુગઃ પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈને પતાવી નાખ્યો…