અરવલ્લી

મોડાસા શહેરમાં શ્રી જગન્નાથજીની 43મી ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી…

મોડાસા, અરવલ્લીઃ ભગવાન શ્રી જગન્નાથ આજે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા માટે નીકળ્યાં છે. શ્રી સંત ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનું બાલકનાથજી મંદિર સગરવાડાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રાનો પ્રારંભ સવારે 11 કલાકે કરવામાં આવ્યો હતો જે સાંજે 6-30 કલાકે નિજ મંદિર પરત ફરશે. રથયાત્રામાં જોડાયેલ તથા સેવા આપેલ સંત મહંતો, પોલીસ અધિકારીઓને સાલ ઓઢાડી સન્માન પણ કરાયું હતું. આ 43મી રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરુ જ્યોત્સનાબેન કનુભાઈ સોની પરિવારે ભર્યું હતું.

મોડાસાના સોની પરિવારે ભર્યું જગન્નાથનું મામેરું
નગરયાત્રા મોડાસા નગરના ગોકુળ નાથજી મંદિર, ગાંધીવાડા, સોની વાળા, ભોઇવાળા, સાર્વજનિક હોસ્પિટલ, કુંભારવાડા, સગરવાડા, દીપુ વિસ્તાર મેન રોડથી મોડાસા ટાઉનહોલ ચાર રસ્તા, મેઘરજ રોડ હનુમાન મંદિર, ઉમિયા મંદિર, ફાવન સીટી ડીપી રોડ, કાર્તિકે સોસાયટી, કેનેરા બેન્ક માલપુર રોડ, કલ્યાણ ચોક, આઈ.ટી.આઈ, મોડાસા ચાર રસ્તાથી નવા બસ સ્ટેશન, ખડાયતા પોલીસ ચોકી, કડિયાવાળા, ભાવસાર વાળા, હોળી ચકલા, શુભ લાભ કોમ્પ્લેક્સ, નાગરિક બેંક, બુટાલ વાળા, નગીના મસ્જિદ, જૈન મંદિરથી પરત નિજ મંદિર ફરે છે. આ લગભગ સાત કિલોમીટરના મોડાસા નગરપાલિકાના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સૌ ભક્તોને દર્શનનો લાભ લેતા હોય છે.

રથને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે પ્રસ્તાન કરાવ્યું
શ્રી જગન્નાથજીની નગર યાત્રામાં રથને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે પ્રસ્તાન કરાવ્યું હતું. પ્રભુની આ નગરયાત્રામાં ખાસ અમદાવાદથી બોલાવેલ વેશભૂષાની ચાર ટીમો, ઘોડા, બગીઓ, તલવારબાજીની બહેનો, દેશી વાજિંત્રા, નાસિક ઢોલ, આનંદના ગરબાની ભજન મંડળીની બહેનો, મોમેરા સાથે જોડાયેલ બહેનો, સર્વોદય સ્કૂલના બાળકોની વેશભૂષાની ટીમ, નગરના અન્ય હરિભક્તો, ઓપરેશન સિંદૂરનો ટેબલો, ટ્રેક્ટરો, ડીજે નીકળી હતી. જય જગન્નાથના નારા સાથે આ પ્રભુ શ્રી જગન્નાથજીની નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથયાત્રાના માર્ગ ઉપર નગરજનો દ્વારા ચા-પાણી, છાશ, લીંબુ શરબત અને નાસ્તાનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું.

120 કિલો જાંબુ તથા 220 કિલો મગનો પ્રસાદ પીરસવામાં આવ્યો
આ રથયાત્રા મોડાસાના તમામ નાના મોટા વેપારીઓ, ડોક્ટરો, કર્મચારીઓ, વકીલો, દ્વારા મળેલ યોગદાન અને ફાળાથી કાઢવામાં આવે છે. બીજી મહત્વની બાબત મોડાસામાં લગભગ 50% જેટલી મુસ્લિમ વસ્તી છે, જેમાં મુખ્ય મુસ્લિમ બિરાદરોની કમિટીઓ દ્વારા રથયાત્રાનું તથા રથયાત્રા આયોજકોનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે આ કમિટીઓના મુખ્ય મુસ્લિમ બિરાદરો પણ રથયાત્રામાં સાથે જોડાયા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button