આપણું ગુજરાતસ્પોર્ટસ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુંની ધમકી બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરાયો

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપની તડામાર તૈયારીઓ થઇ રહી છે, એવામાં કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંતસિંગ પન્નુંએ વર્લ્ડ કપ મેચમાં વિઘ્ન પાડવાની ધમકી આપી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મહત્વની મેચો રમાવવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સમર્થકો મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડા ફરકાવી પ્રદર્શન કરી શકે છે, આ પ્રકારનો પ્રી-રેકોર્ડેડ મેસેજ પન્નું વહેતો કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે ફરિયાદ નોંધી છે, હવે આ કેસની તપાસમાં NIA, RAW, સેન્ટ્રલ આઈબી જેવી દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે.

પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ પાન્નુંએ વિદેશમાંથી પ્રી-રેકોર્ડેડ વોઈસ કોલ કરી ભારતના નાગરિકોમાં ભયનો માહોલ ફેલાવવાના પ્રયસો કર્યા હતા. આવા કોલ ભારતના શીખ સમુદાયના લોકો અને ભારતના અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના ઇરાદે કોલ કરવામાં આવ્યા હતા.

પન્નુએ એક વીડિયોમાં ધમકી આપી હતી કે શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાન ધ્વજ સાથે અમદાવાદના સ્ટેડીયમમાં હંગામો કરીશું. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. યાદ રાખો 5મી ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1,34,000 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે. આગામી 5 ઓક્ટોબરના રોજ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ રહેલા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી વર્લ્ડ કપની શરૂઆત થશે. ઑક્ટોબર 14 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2016 માં T20 વર્લ્ડ કપ પછી પ્રથમ વખત ભારતમાં આવી છે. અમદાવાદ સ્ટેડિયમ ભારત-પાક સહિત પાંચ ODI વર્લ્ડ કપ મેચોનું સાક્ષી બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button