સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો વચ્ચે દેવગઢ બારિયામાં હિંસાનો બનાવઃ ત્રણ જણ ઘાયલ

દેવગઢ બારીયા: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. રાજ્યની 66 મનમાંથી 62માં ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસને 1 નગરપાલિકામાં સત્તા મળી છે. ત્યારે દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી લોહીયાળ બની છે.
પ્રાપ્ત વિગતો અનુસારદેવગઢ બારિયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને જૂથ અડામણ લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ કાપડી વિસ્તારમાં અમુક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ સર્જાય હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. હાલ મામલાને શાંત પાડવા પોલીસની મદદ લેવામાં આવી રહી છે.
આપણ વાંચો: મિની વિધાનસભાની જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આજે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી ટ્વીટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. જેમાં તેમણે લખ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.
સી આર પાટીલે શું કહ્યું
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં અભૂતપૂર્વ વિજય બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ગુજરાતને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અતૂટ વિશ્વાસ રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા એ સમયે ગુજરાત વિકાસનાં ધોરી માર્ગ પર પૂરપાટ ઝડપે દોડી રહ્યું હતું, તેમના વડા પ્રધાન બન્યા એ પછી ગુજરાતનાં વિકાસની ગતિ અનેકગણી વધી છે.
આ અતૂટ અને મૂલ્યવાન વિશ્વાસ બદલ હું ગુજરાતનાં સૌ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનાં આધારસ્તંભ સમાન કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું, આ એ કાર્યકર્તાઓ છે-જેમણે “સત્તા થકી સેવા”નાં સંસ્કારને સાકાર કર્યા છે. જનસેવાને જીવનનું સૂત્ર બનાવ્યું છે.