સિંહના મૃત્યુના ચોંકાવનારા આંકડા: 2019 થી 2021 સુધીમાં 397 સિંહના થયા મોત
![Shocking statistics of lion deaths: 397 lion deaths from 2019 to 2021](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Jignesh-J-Pathak-9.jpg)
પર્યાવરણ રાજ્યપ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે વર્ષ 2019માં 66 પુખ્ત સિંહો અને 60 બચ્ચા મૃત્યુ પામ્યા હતા.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના મંત્રીએ સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. રાજ્યના અહેવાલ મુજબ, ગુજરાતમાં 2019-2021 સુધીમાં 0-1 વર્ષના 182 બચ્ચા સહિત 397 સિંહોના મૃત્યુ થયા છે. જેમાં લગભગ 10% અકુદરતી કારણોથી મૃત્યુ પામ્યા છે, એમ સંસદને 7 ડિસેમ્બરે જણાવવામાં આવ્યું હતું. આ આંકડાઓએ સિંહ પ્રત્યે ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ચૌબેએ ગુજરાતમાં સિંહ સંરક્ષણ માટે કેન્દ્ર સરકારના સમર્થન પર ભાર મૂક્યો હતો.
રાજ્યને વન્યજીવ આવાસના સંકલિત વિકાસની કેન્દ્રીય પ્રાયોજિત યોજના હેઠળ ભંડોળ સહાય મળે છે, જે એશિયાટિક સિંહોના સંરક્ષણ, વન્યજીવ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવા અને રહેઠાણોનું સંચાલન કરવા સહિત વિવિધ પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અશ્વિનીકુમાર ચૌબેએ ગુજરાતથી મધ્યપ્રદેશમાં સિંહોના સ્થાનાંતરણ અંગે ચાલી રહેલી કાનૂની ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જે અંગે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સિંહોના સ્થળાંતરના નિર્ણયને એશિયાટિક સિંહોના અસ્તિત્વ અને આનુવંશિક વિવિધતાને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવે છે.