તલાલામાં મીટરગેજ ટ્રેનના માત્ર 3 ડબ્બા હોવાથી મુસાફરોને ભારે હાલાકી, ડબ્બા વધારવા માંગણી

તલાલા: દિવાળીના તહેવારો અને વેકેશનને લીધે મોટા મોટા જંકશો પર વિશેષ ટ્રેનો દોડાવાતી હોવા છતાં મુસાફરોની માગને રેલવે પહોંચી શકતા નથી, ત્યારે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં ત્રણ જિલ્લાને જોડતી મીટરગેજ ટ્રેનના માત્ર ત્રણ જ ડબ્બા હોવાથી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવાળીના તહેવારમાં લોકો ટ્રેનમાં વધારે મુસાફરી કરતા હોય છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી.
પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે લોકો પરેશાન
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાવનગર રેલવે ડિવિઝન હેઠળની આ ખાસ ટ્રેનોમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના મુસાફરો પ્રવાસ કરે છે. તહેવારમાં લોકોની અવરજવર ખૂબ હોવાથી સ્ટેશન પર ભારે સંખ્યામાં મુસાફરો આવ્યા હતા. પરંતુ પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે લોકોને ટ્રેનમાં બેસવા મળ્યું ન હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. ટ્રેનમાં જગ્યા ના મળી હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન બ્રોડગેજમાં પરિવર્તિત: 125 કિ.મી.ની સ્પીડ ટ્રાયલ સફળ, ટૂંક સમયમાં શરૂ થશે…
સૌરાષ્ટ્ર જવા ટ્રેન સસ્તું અને સરળ માધ્યમ
ખાસ અને મહત્વની વાત એ છે કે, આ સાથે સાથે સોમનાથ, સતાધાર, ગિરનાર, કનકાઈ, સાસણ, જમજીર જેવા સૌરાષ્ટ્રના સ્થળોએ પહોંચવા માટે આ ટ્રેન સસ્તું અને સરળ માધ્યમ છે. આ સાથે 1લી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા પણ શરૂ થશે. આથી અહીંના આગેવાનોએ તાલાળા રેલવે સ્ટેશનથી ત્રણે બદલે છ કોચ દોડાવવામા આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમમાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે, જેમાં મુસાફરી માટે ખાસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ મામલે રેલવે વિભાગ દ્વારા સંતોષકારક નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.



