
અમદાવાદ, રાજકોટ: અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધો છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું હતું. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં બપોરનું ભોજન કરી રહ્યા હતા, તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતાં.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર સ્થિત તેમના પૈતૃક ઘરે પહોંચ્યા છે. તેઓ અત્યાર સમય સુધી વિદેશમાં હતા આજે તેઓ અમદાવાદ આવ્યાં છે. અમદાવાદથી ગાંધીનગર તેમના પૈતૃક ઘરે પહોંચ્યાં છે.
રાજકોટવાસીઓમાં વિજય રૂપાણીના અવસાનને લઈને ભારે શોક છે. જેથી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે શનિવારે રાજકોટ શહેરમાં ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા 650 જેટલી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 90 જેટલી શાળાઓ પણ બંધ રહેશે. એટલું જ નહીં પરંતુ રાજકોટ શહેરમાં આવેલી બે સરકારી શાળાઓ પણ આવતીકાલે સ્વૈચ્છિક બંધ પાળશે.
વિમાન દુર્ઘટના ખૂબ જ ભયાનક હતી. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 ક્રૂ અને બે અનુભવી પાઇલટ હતાં. વિમાનમાં સવાર ફક્ત એક જ મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો, જે હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના દરેક લોકો વિમાન ક્રેશ થતા થયેલા બ્લાસ્ટમાં ભડથું થઈ ગયાં છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ના દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બહુ-શાખાકીય સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ આવી ઘટનાઓને રોકવા અને તેનું સંચાલન કરવા માટે જારી કરાયેલી હાલની માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા સૂચવશે. આ તપાસ બાદ જાણવા મળશે કે શા કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો…રાજકોટ શોકમગ્ન: પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આવતીકાલે વેપાર-શાળાઓ બંધ રહેશે…