
અમદાવાદ: મેધાણી નગર ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રીપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખાણ થઈ છે.
રાજકોટમાં થશે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર
વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જોકે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે. તેથી મૃતદેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસસ્થાને મૃતદેહને અંતિમદર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રાને લઈને રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
ઓળખ કરાયેલા 14 મૃતદેહો પરિવારને સોંપાયા
મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4, મહેસાણાના 4, વડોદરાના 2, ખેડાનો 1, અરવલ્લીના 1, બોટાદના 1 અને ઉદયપુર(રાજસ્થાન)ના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.”
ઉલ્લેખનીય છે કે, જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
આપણ વાંચો : રાજકોટમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા વખતે આ રોડ રહેશે બંધ…