રાજકોટના ગોંડલ રોડ પર 5 કરોડના ખર્ચે નવું સેટેલાઇટ બસ સ્ટેશન બનશે: સુવિધાઓ આધુનિક મળશે

રાજકોટઃ શહેરમં છેલ્લા ઘણા સમયથી ગોંડલ રોડ પર એસટી વર્કશોપની જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન બનાવવાની માંગ ઉઠી હતી. ગોંડલ રોડ ઉપર સેટેલાઈટ બસ સ્ટેશન બનતા રાજકોટથી ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લામાં મુસાફરી કરતા લોકોને સરળતાથી એસટી બસ મળી રહેશે. આ સેટેલાઈટ બસ સ્ટેશન 2000 ચોરસ મીટરની જગ્યામાં અંદાજે રુ. 5 કરોડના ખર્ચે બનાવવામાં આવેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપની જગ્યામાં નવી વહીવટી કચેરીનું નિર્માણ થયું છે. હાલમાં જુની વિભાગીય કચેરીને તોડવાની કામગીરી ચાલી રહી છે. આ જગ્યાએ ગોંડલ રોડ ઉપર એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માટેની માંગને રાજ્યના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે.
આપણ વાંચો: કચ્છના બસ-રેલવે સ્ટેશનો પર કોરોનાકાળ જેવા દશ્યોઃ યુદ્ધના ભણકારા વચ્ચે પરપ્રાંતિયો વતન ઉપડ્યા
જેના કારણે સૌરાષ્ટ્રના મુસાફરોને બસ પકડવી સરળ રહેશે. ગોંડલ રોડ એસટી બસ સ્ટેશન બનતા જ રાજકોટથી ગોંડલ, વિરપુર, જેતપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, પોરબંદર તરફ જતા મુસાફરોને બસ મળી રહેશે.
ગોંડલ રોડ એસટી બસ સ્ટેશનનું આયોજન ચાલી રહ્યું છે. આ જગ્યાએ મુસાફરોની સગવડતા માટે ઇન્કવાયરી વિન્ડો, ઓનલાઇન રિઝર્વેશન, પીવાના પાણી, શૌચાલય,વિદ્યાર્થી પાસ, મુસાફરી પાસ, સહિતની સુવિધાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આપણ વાંચો: કાલુપુર સ્ટેશન રિડેવલપમેન્ટઃ બે રેલવે સ્ટેશન પર નહીં મળે બસની સુવિધા, 4 બસના રૂટ બદલાશે…
હાલ રાજકોટથી ગોંડલ, જુનાગઢ, અમરેલી અને પોરબંદર સહિતનાં રૂટ પરની 240થી 260 ટ્રીપોનુ હાલ સંચાલન થાય છે. રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશનનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ હવે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપમાં નવા સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપની 2000 ચો.મી. જગ્યામાં નવા સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા માટે વડી કચેરીને દરખાસ્ત કરવામાં આવી છે. આ સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા માટે અંદાજે રૂ.5 કરોડનો ખર્ચ થશે. ગોંડલ રોડ પરના સેટેલાઈટ બસ સ્ટેન્ડ બન્યા બાદ બસ પોર્ટનો ટ્રાફિક ઘટશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે.