રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસના વધુ એક આરોપીનું મોત, 25 દિવસ પહેલા જામીન પર થયો હતો મુક્ત…

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગેમઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીનું મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હૃદયરોગના હુમલાના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને 21 નવેમ્બરના રોજ સેશન્સ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. મૃતક આરોપીનું નામ નીતિન લોઢાનું હૃદયરોગના હુમલાના મોત થયું છે. ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 15 આરોપીઓ ઝડપાયા હતા, જેમથી વધુ એક આરોપીનું મોત થયું છે.
25 દિવસ પહેલા જામીન પર મુક્ત થયો હતો આરોપી નીતિન લોઢા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, નીતિન લોઢા નામના આરોપીનું રાજસ્થાનના ભીમ ગામે હૃદયરોગના હુમલામાં મોત થયું છે. 25 દિવસ પહેલા જે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીન મુકત થતાં તે રાજસ્થાન પોતાના વતન ભીમ ગામે ગયો હતો. અહીં નીતિન લોઢાનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

મૃતક નીતિન લોઢાને સંતાનમાં એક પુત્રી છે અને TRP ગેમ ઝોનમાં તે ગ્રેવેટી નામે કાફે ચલાવતો હતો. પરંતુ આ કેસમાં જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આરોપી ગેમઝોનમાં મેનેજર તરીકે કામ કરતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભડથું થયા હતાં
આ પહેલા ગેમઝોનના માલિક કમ પાર્ટનર પ્રકાશ જૈનનું પણ મોત થયુ હતું. ગેમઝોન અગ્નિકાંડની વાત કરવામાં આવે તો, દોઢ વર્ષ પૂર્વે બનેલી આ દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભડથું થયા હતાં. આ કેસમાં ગેમ ઝોનના સંચાલકો, જમીન માલીક અને કોર્પોરેશનના અધિકારીઓ સહિત 16 શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. જેમાંના એક આરોપીનું અગ્નિકાંડમાં જ મોત નિપજતાં પોલીસ દ્વારા 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે વધુ એક આરોપીનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.



