રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 19 દિવસ માટે કેન્સલ, એર ઈન્ડિયાના આ નિર્ણયનું જાણો શું છે કારણ…

રાજકોટ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા સચેત થઈ ગયું છે. તાજેતરમાં એર ઈન્ડિયા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજકોટથી મુંબઈ જતા યાત્રીઓ માટે મુશ્કેલી ઊભી કરશે.
27 જૂનથી 15 જુલાઈ સુધી ફલાઇટ
એર ઈન્ડિયા દ્વારા સવારે રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી ઉપડતી ફ્લાઇટ એર ઈન્ડિયા દ્વારા અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી બિઝનેસ ક્લાસથી લઈને ઇકોનોમી ક્લાસ સુધીના તમામ યાત્રીઓને અસુવિધાનો સામનો કરવો પડશે. એર ઈન્ડિયા દ્વારા ઓપરેશનલ કારણોસર અનિશ્ચિત મુદત માટે 27 જૂનથી 15 જુલાઈ સુધી ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે. આમ, 19 દિવસ સુધી ફ્લાઇટ બંધ રહેશે. જેને લીધે સવારની ફ્લાઈટમાં મુંબઈ જતા મુસાફરોને તકલીફ પડશે.
એર ક્રાફ્ટના ઇન્ટિરિયર ચેન્જની કામગીરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા પોતાના એર ક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરી રહ્યું છે. તમામ એક ક્રાફ્ટમાં એકસાથે ઇન્ટિરિયર ચેન્જ કરવું શક્ય નથી. તેથી એર ઇન્ડિયા પોતાની ફ્લાઈટ કેન્સલ કરીને આ કામગીરી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાની AIC 659 મુંબઈથી દરરોજ 6.35 વાગ્યે પ્રસ્થાન કરી 7.55 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારબાદ આ ફ્લાઈટ AI688 સ્વરૂપે રાજકોટથી 8.40 વાગ્યે ઉડાન ભરે છે અને મુંબઇ સવારે 10.10 વાગ્યે પહોંચે છે.