પોરબંદર

પોરબંદરના દરિયામાં લાપતા થયેલા માછીમારો હેમખેમ કાંઠે પહોચ્યા! પ્રતિબંધ હોવા છતાં કેમ દરિયો ખેડવા ગયા? નોંધાયો ગુનો

માછીમારો સહિત પીલાણા માલિક સ્નેહાબેન બાદરશાહી અને પિલાણા વ્યવસ્થાપક વિશાલ અર્જુન જુંગી સામે ગુનો નોંધાયો

પોરબંદરઃ ગીર સોમનાથના માછીમારો પોરબંદરના દરિયામાં માછીમારી માટે ગયાં હતા. ભારે વરસાદ અને દરિયામાં કરંટ હોવાના કારણે 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા હતા. આ દરમિયાન જય સાંકરી આઇ કૃપા નામની બોટ પોરબંદરના દરિયાના લાપતા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જેમાં પાંચ માછીમારો સવાર હતા. આ તમામ માછીમારો આજે પાછા આવી ગયા હોવાના સમાચાર મળ્યાં છે. પોરબંદર નજીક હોડીના બન્ને એન્જિન બંધ થઈ હતા. માછીમારો સુરક્ષિત રીતે પાછા આવી જતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

માછીમારો, માલિક અને મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો

માછીમારો સહીસલામત પાછા તો આવી ગયા પરંતુ આ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોવા છતાં પણ દરિયામાં ગયા હોવાથી માછીમારો, માલિક અને મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. માછીમારો જય સાંકરી આઇ કૃપા નામની બોટ લઈને દરિયામાં ગયા હતા અને પછી લાપતા થઈ ગયાં હતા. ગીર સોમનાથના માછીમાર કિશન મેઘજીભાઈ ડાલકી, પ્રભુદાસ રામજીભાઈ આંજણી, મનસુખભાઈ લાલ પાંજરી, રમેશ રામાભાઈ લોઢારી, મુકેશભાઈ શામજી ડાલકી ગયા શુક્રવારે કોઈ પરમીટ વગત દરિયામાં માછીમારી માટે ગયા હતા. આ દરમિયાન દરિયામાં કરંટ હોવાના કારણે બોટના બન્ને એન્જિન બંધ થઈ ગયાં હતા. જો કે, માછીમારોને એન્જિન રિપેર કરતા આવતું હોવાથી તેમણે જાતે જ એન્જિન રિપેર કર્યું અને આજે પાછા પરત કાંઠે આવી ગયાં હતા.

પ્રતિબંધ હોવા છતાં શા માટે માછીમારો દરિયો ખેડવા ગયા?

આ માછીમારો લાપતા થયા તેમના પરિજનો ખૂબ જ ચિંતિત જોવા મળ્યાં છે. સત્વરે તેમના પરિવારે આ લોકોને શોધી કાઢવા માટે માંગણી કરી હતી. જો કે, આજે માછીમારો હેમખેમ પાછી આવી ગયા હોવાથી પરિવાર સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ મહત્વની વાત એ છે કે, પ્રતિબંધ હોવા છતા દરિયો ખેડવા માટે શા માટે ગયા? આના માટે પાંચ માછીમારો સહિત પીલાણા માલિક સ્નેહાબેન દીપકભાઈ બાદરશાહી, અને પિલાણા વ્યવસ્થાપક વિશાલ અર્જુન જુંગી સામે ગુનો નોંધવામાં આવ્યું છે. આવી રીતે દરિયામાં જવું જોખમી હોવા છતાં પણ શા માટે દરિયોમાં માછીમારી માટે ગયા? જો કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની હતી? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…વરસાદના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો! પોરબંદરના દરિયામાં પાંચ માછીમારો ગુમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button