વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ઘમાસાણ: AAPનું શક્તિપ્રદર્શન, ભાજપ-કોંગ્રેસના પાટીદાર કાર્ડ અને અનેક દાવેદારો મેદાનમાં!

વિસાવદર: જૂનાગઢ જિલ્લાની વિસાવદર-ભેંસાણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, અને તેઓ આગામી 31 મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે.
આ પ્રસંગે AAP શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે, કારણ કે તેમના સમર્થનમાં પાર્ટીના અનેક મોટા નેતાઓ વિસાવદરમાં હાજર રહેશે.
આપણ વાંચો: લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણી AAP માટે ‘કરો યા મરો’ જંગ! જાણો શું છે કારણ…
આપના અનેક નેતાઓ આવશે ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન આતિશી, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, અને સહ-પ્રભારી ગુલાબ સિંહ યાદવ સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ ગોપાલ ઇટાલિયાની ‘જન આશીર્વાદ યાત્રા’માં જોડાશે.
આ વિશાળ નેતાઓની હાજરી દર્શાવે છે કે આપ વિસાવદર બેઠકની આ પેટાચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
આપણ વાંચો: જૂનમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ! 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત
ભાજપે યોજી સેન્સ પ્રક્રિયા
ઉલ્લેખનીય છે કે વિસાવદરમાં ભારે રસાકસીભર્યો માહોલ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ સેન્સપ્રક્રિયામાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ, અને અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા જેવા નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા.
આ બેઠક પર ભાજપમાંથી હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી, કિરીટ પટેલ અને પ્રશાંત કોરાટને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. સેન્સ લેવાયા બાદ, નામો પાર્લમેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યાર બાદ અંતિમ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ: વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત; જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અનેક ઉમેદવારો મેદાનમાં
આગામી પેટાચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની રહેલી વિસાવદર બેઠક પર રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી આ બેઠક પર પોતાની પકડ જાળવી રાખવા માંગે છે, અને આ માટે તેમણે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે, ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ આ બેઠક પર પાટીદાર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે. જો આ ત્રણેય મુખ્ય પક્ષો પાટીદાર ઉમેદવારોને ઉતારશે, તો વિસાવદરમાં પાટીદાર મતોનું વિભાજન થવાની પ્રબળ શક્યતા છે, જે ચૂંટણીના પરિણામોને રસપ્રદ બનાવશે.
આ સંજોગોમાં, ભાજપ AAPમાંથી રાજીનામું આપનારા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ ચૂંટણી મેદાને ઉતારે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.