સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમાના લોકમેળાની તારીખ બદલાઈ, જાણો લોકમેળાની નવી તારીખ

ગીર સોમનાથ: શ્રદ્ધા અને લોકસંસ્કૃતિના પાવનધામ એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ઐતિહાસિક મંદિર ખાતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.
વર્ષ 2025માં પણ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મેળાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આ કાર્તિક પૂર્ણિમા લોકમેળાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
સોમનાથ ટ્રસ્ટે જનહિતમાં લીધો નિર્ણય
મૂળરૂપે આ મેળો આગામી તા. 1 થી 5 નવેમ્બર, 2025 દરમિયાન યોજાવાનો હતો. જોકે, પ્રવર્તમાન અસામાન્ય હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનહિતમાં આ મેળો હવે તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: કાર્તિક પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, આ રાશિઓ થશે માલામાલ
કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળામાં લાખો મુલાકાતીઓ, સ્ટોલ ધારકો અને વેપારીઓ આવતા હોય છે. આ તમામને ધ્યાનમાં રાખીને અને સમગ્રલક્ષી હિતને અનુલક્ષીને હવામાનની સ્થિતિને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેળાનું સમાપન ‘સંકલ્પ સિદ્ધિ દિવસ’ પર થશે, જે શ્રી સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરાયું તે પુણ્ય દિન છે.
શ્રી સોમનાથ મંદિરના કાર્યક્રમોમાં ફેરફાર
જોકે મેળાની તારીખ બદલાઈ છે, પરંતુ કાર્તિકી પૂર્ણિમા પર્વના ધાર્મિક કાર્યક્રમો યથાવત રહેશે. જેમાં તા. 1/11/2025 (કાર્તિકી એકાદશી) થી તા. 4/11/2025 સુધી દર્શન, પૂજા-વિધિ અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે. આ દિવસો દરમિયાન દર્શનનો સમય 1 કલાક વધારીને રાત્રિના 11:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
તા. 5/11/2025 ના રોજ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રે 12:00 વાગ્યે શ્રી સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાશે. આ દિવસે રાત્રે 01:00 વાગ્યા સુધી મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરના અન્ય કાર્યક્રમોની કોઈ પણ વિશેષ અપડેટ માટે તમે સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org અને ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મુલાકાત લઈ શકો છો.



