જૂનાગઢ

મહાશિવરાત્રી પર ભક્તોને ભેટ: ગિરનાર રોપ-વેની ટિકિટમાં રૂ. 69નો ઘટાડો

જૂનાગઢ: આગામી મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગિરનાર આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે એક આનંદદાયક જાહેરાત કરી છે. મેળા દરમિયાન ભક્તોની ભારે ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ગિરનાર પર્વત પર અંબાજી માતાજીના દર્શને જતા યાત્રિકોના ખિસ્સા પરનો બોજ ઘટશે અને દર્શનની સુવિધા વધુ સુલભ બનશે.

રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, રોપ-વેની ટિકિટના દરમાં રૂ. 69નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે ટિકિટ માટે ભક્તોએ રૂ. 699 ચૂકવવા પડતા હતા, તે હવે મહાશિવરાત્રી નિમિત્તે માત્ર રૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરનો લાભ આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ માટે મળશે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે, જેઓ સીડીઓ ચઢી શકતા નથી, તેમના માટે આ જાહેરાત આશીર્વાદ સમાન સાબિત થઈ છે.

ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ પોતાની રીતે દેશમાં અનોખો છે, કારણ કે આ પ્રોજેક્ટનું નિર્માણ હેલિકોપ્ટરની મદદથી કરવામાં આવ્યું હતું. પર્વતની 3,500 ફૂટની ઊંચાઈ અને પવનની 180 કિમી પ્રતિ કલાકની સંભવિત ગતિને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવવામાં આવી છે. 2.3 કિલોમીટર લાંબા આ રૂટમાં કુલ 9 ટાવર છે, જેમાં 6 નંબરનો ટાવર સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. રોપ-વેની આશરે 10 મિનિટની સફર પ્રવાસીઓને કુદરતી સૌંદર્યની સાથે અદ્ભુત રોમાંચનો અનુભવ કરાવે છે.

ટેકનોલોજીની દ્રષ્ટિએ ગિરનાર રોપ-વે અત્યંત આધુનિક છે, જેમાં જર્મનીથી મંગાવેલી મજબૂત રોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં અહીં 24 ટ્રોલીઓ કાર્યરત છે અને એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે છે. આ રોપ-વે દર કલાકે 800 મુસાફરોને તળેટીથી મંદિર સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. દરેક ટ્રોલી પ્રતિ સેકન્ડે 5 મીટરની ઝડપથી ચાલે છે, જે અન્ય રોપ-વે કરતા ઘણી વધારે છે. મેળા દરમિયાન જરૂરિયાત મુજબ ટ્રોલીની સંખ્યામાં વધારો કરીને દર્શનાર્થીઓને ઝડપથી દર્શન કરાવવાનું આયોજન છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button