જામનગરના ધાર્મિક સ્થળમાં સ્વિમિંગ પુલ, બાથટબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ…

જામનગર: શહેરમાં પાછલા ઘણા સમયથી ગેરકાયદે સરકારી જમીનો પર બાંધકામ કરનારા સામે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ અગાઉ જામનગર આસપાસના ટાપુ પરથી સરકારના બુલડોઝરે ગેરકાયદે જમીનો ખુલી કરી હતી. ત્યારે ફરી એક વખત જામનગરમાં રંગમતી નદીના પ્રવાહમાં અવરોધાતા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જેનાથી વરસાદી પાણીની સમસ્યા ઊભી થતી હતી. રંગમતી નદીના પટ્ટામાં 300 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા. જેમાં 4 ધાર્મિક બાંધકામનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત સહયોગથી કરવામાં આવી છે.
દબાણ હટાવવાની કાર્યવાહી
જામનગરના બચુ નગર એક્સ્ટેન્શન વિસ્તારમાં રંગમતી નદીના પટ્ટામાં 294 જેટલાં ગેરકાયદે મકાનો અને ચાર ધાર્મિક સ્થળો બાંધવામાં આવ્યા હતા. આ બાંધકામો લગભગ 20-25 વર્ષ જૂનાં હતાં અને તેમાંથી એક ધાર્મિક સ્થળમાં સ્વિમિંગ પૂલ, બાથટબ અને વિશાળ રૂમ જેવી આલીશાન સુવિધાઓ મળી આવી, જેનાથી પોલીસ અને અધિકારીઓ આશ્ચર્યચકિત થયા. આ કાર્યવાહીમાં 12 જેસીબી, ત્રણ હિટાચી મશીનો અને 13 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં 100થી વધુ લોકો સામેલ હતા.

પર્યાવરણીય અસર અને સમસ્યાઓ
આ ગેરકાયદે બાંધકામોએ રંગમતી નદીના કુદરતી પ્રવાહને અવરોધ્યો હતો, જેના કારણે વરસાદ દરમિયાન જામનગરમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી હતી. આ બાંધકામોને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતું હતું, જેનાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ દબાણોમાંથી કેટલાક ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોના મકાનો અને ફાર્મહાઉસ પણ હતા, જે હવે તોડી નાખવામાં આવ્યા છે.
પોલીસ અને વહીવટની ભૂમિકા
આ મામલે જામનગર પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ દબાણોને દૂર કરવાથી નદીનો પ્રવાહ સુધરશે અને પૂરની સમસ્યા ઘટશે. આ કાર્યવાહી પોલીસની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. આ ઉપરાંત, આશરે 11,000 ચોરસ ફૂટના ચાર ધાર્મિક સ્થળો પણ તોડવામાં આવ્યા.