જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, વિશ્વભરમાંથી આવે છે યાયાવર પક્ષીઓ…

જામનગર: જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરમાંથી આવતાં 300થી વધુ યાયાવર પક્ષીઓને કારણે આ સ્થળ ગુજરાતની જીવંતતાનું પ્રતીક છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂરના દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે. મીઠા અને ખારા પાણીના જળાશયોનું આ અનોખું મિશ્રણ આ ઇકોસિસ્ટમને તેમનું કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે. શિયાળાની શરૂઆત થતાં જ અહીં પક્ષીઓની ક્રીડાઓ અને સુંદર સૂર્યોદય માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય અત્યારે સોળે કળાએ ખીલ્યું
જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા બર્ડ સેન્ચુરી શિયાળામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન, યુરોપ, આફ્રિકા, ઈરાન-ઈરાક અને સાઇબેરિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આશ્રય લે છે. એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે.

જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું આ અભયારણ્ય
આ પક્ષી અભયારણ્ય લગભગ જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું છે. આ પક્ષી અભયારણ્ય લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ખીજડીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે. અમદાવાદથી આવેલા પ્રવાસીઓએ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અઠખેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્ય-જીવોના દર્શન કરવા આવે છે. ખીજડીયા બર્ડ સેન્ચુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે. પ્રવાસીઓ અહીંથી મનમોહક નજારાઓને પોતાની યાદોમાં સમેટીને, પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ લઈને પરત ફરે છે.



