
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસે ને દિવસે તણાવ વધી રહ્યો છે અને સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના પણ ઘણા શહેરો પાકિસ્તાનના નિશાન પર છે. ગુજરાતની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભુજમાં બે દિવસથી બ્લેકઆઉટ પણ છે. આજ સવારથી ભુજમાં બજારો બંધ કરવાનું ફરમાન આવતા દુકાનો બંધ કરવામાં આવી છે.
ત્યારે હવે મળતી માહિતી અનુસાર જામનગરમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને રોજગાર-ધંધા બંધ કરી ઘરે રહેવા અને ઘરની બહાર જરૂર ન હોય તો ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં સેનાની ત્રણેય વિંગના બેઝ છે.
આ સાથે અહીં બંદર છે અને જામનગર બહાર રિલાયન્સ રિફાઈનરીનો અત્યંત વિશાળ પ્રોજેક્ટ કાર્યરત છે. જામગરનમાં સાયરન વાગ્યાના પણ સમાચાર છે અને અહીંની જીજી હૉસ્પિટલને પણ સજજ રહેવા જણાવવામાં આવ્યું છે.
આ પ્રાથમિક માહિતી છે. વિશેષ માહિતી માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે.
જામનગરમાં ડ્રોન હુમલાની અફવા
જામનગરમાં સાયરન વાગતા જ શહેર એલર્ટ પર આવી ગયું છે. લોકોને ઘરમાં રહેવાની તાકીદ કરાઈ છે, તેમ જ આજથિી બ્લેક આઉટ પર જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ બધા વચ્ચે ખોટા અહેવાલો અને અફવાઓ પેલાતી રહે છે. ત્યારે લોકોએ અફવાઓથી બચીને રહેવાની જરૂર છે. શહેરમાં ડ્રોન હુમલો થયાની અફવાઓ ફરતી હતી, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલે આવી કોઈ ઘટના ન ઘટી હોવાનું અને સુરક્ષા એજન્સી દ્વારા આવી કોઈપણ માહિતી ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં આર્મી, નેવી અને એરફોર્સના મથકો છે. ભારતીય સૈન્ય અને તમામ સુરક્ષા એજન્સીઓ ખડેપગે છે અને સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારો પણ એલર્ટ મોડ પર છે ત્યારે લોકોએ અફવાઓ ન માનતા માત્ર સતર્ક રહેવાની જરૂર છે.
આ પણ વાંચો…કઈંક મોટું થવાનું નક્કી! ભુજ-અબડાસામાં તમામ બજારો બંધ