સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં! આવતી કાલે 5 દરવાજા ખુલશે…

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાઈ ચૂક્યો છે અને છલકાવાની નજીક છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની ધરખમ આવક નોંધાઈ છે.
સરદાર સરોવર ડેમની સ્થિતિ
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 8,512 MCM પાણીનો સંગ્રહ છે, જે ડેમની કુલ ક્ષમતાના 90 ટકા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવા છતાં, હાલની સપાટી 135.65 મીટર છે, એટલે કે માત્ર 3 મીટરની જગ્યા બાકી છે.
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 100 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમના 5 દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં 95,000 ક્યુસેક પાણી નદી અને પાવરહાઉસ મારફતે છોડવામાં આવશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે 27 અને 28 ઑગસ્ટ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી 641.8 મીમી વરસાદ નોંધાયો છે.
જે સામાન્ય કરતાં 14 ટકા વધુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ એલર્ટ જાહેર કરાયું નથી, પરંતુ હળવા ઝાપટાંની શક્યતા રહેશે. ખાસ કરીને, બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

નવરાત્રિમાં પણ વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 28 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી નવરાત્રિ દરમિયાન પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જે સરદાર સરોવર સુધી પહોંચ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો…સરદાર સરોવર ડેમ 87 ટકાથી વધુ ભરાયોઃ 98 ડેમ હાઇ એલર્ટ પર