આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ધોરણ 10-12 ની પૂરક પરીક્ષામાં વરસાદ બન્યો વિઘ્ન, ફરી પરીક્ષા લેવા શિક્ષણ પ્રધાને કરી જાહેરાત…

ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ પણ ચાલી રહી છે. ચિંતાનો વિષય એ છે કે, સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી શક્યા નહોતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વરસાદની વિઘ્નના કારણે પૂરક પરીક્ષામાં 40 ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જેથી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ફરી પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે, આમાંથી 50 ટકાથી વધારે વિદ્યાર્થીઓને વરસાદ નડ્યો છે. આ કુ઼દરતી આફત હોવાના કારણે પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં 13,830 ગેરહાજર રહ્યાં હતાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 23મી જૂનથી પૂરક પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં વરસાદના કારણે ધોરણ 10માં ગુજરાતીના પેપરમાં 35,052 વિદ્યાર્થીઓમાંથી 13,830 ગેરહાજર રહ્યાં હતાં. વરસાદના કારણે સૌથી વધારે સુરત પ્રભાવિત થયું છે જેના કારણે સુરતમાં કુલ 1,074 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. અન્ય પેપરની વાત કરવામાં આવે તો, હિંદીના પેપરમાં 540 વિદ્યાર્થીઓ, અંગ્રેજીના પેપરમાં 804 વિદ્યાર્થીઓ અને ઉર્દુના પેપરમાં 46 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જેથી આ વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયેલા માટે ફરી પરીક્ષા લેવામાં આવશેઃ પ્રફુલ પાનશેરિયા
ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ એવી જાહેરાત કરી છે કે, વરસાદના કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નથી આવી શક્યા તેમના માટે ફરી વ્યવસ્થા કરવામાં આવશે. જો કે, આની શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તેવું પણ રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાને જણાવ્યું છે. શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. જોકે, અત્યારે બોર્ડે પરીક્ષા યથાવત રાખવાની હોવાનું પણ જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button