વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના પગલે પોલીસકર્મીઓની રજાઓ રદ્દ, 7થી 12 જાન્યુઆરી સુધી ફરજપરસ્ત રહેવા આદેશ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસ પર છે. તેઓ વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ-વિદેશના મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તાત્કાલિક અસરથી રજાઓ રદ કરાઈ છે.
જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવા સૂચના
વિગતે જોવા જઈએ તો તારીખ 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મીની રજાને રદ્દ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને કારણે રજાઓ કરાઈ રદ કરાઈ છે. પરિપત્રના આદેશ અનુસાર 7થી 12 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન કોઈ પણ પોલીસકર્મી રજા લઈ શકશે નહીં. જે કર્મચારીઓ હાલમાં રજા પર છે, તેમને પણ રજા ટૂંકાવીને તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ
વડાપ્રધાનના આગમનને પગલે બંદોબસ્તને પ્રાથમિકતા આપીને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ મહત્વના વિભાગો જેવા કે એસીબી, સીઆઈડી ઇન્ટેલિજન્સ અને રેલવે પોલીસને મોકલી દેવામાં આવી છે. આ દરમિયાન ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ બેડાને સ્ટેન્ડ-બાય મોડ પર રાખવામાં આવ્યો છે.



