એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી, પીએમ મોદીને કર્યું સંબોધન…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ
એકતાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાને ભારત માતાની ભક્તિ દેશના દરેક નાગરિકની સૌથી મોટી પૂજા છે, તેમ કહી દેશની એકતા અને અખંડિતતા માટે ચાર સ્તંભો આધારિત સરકાર દ્વારા જનજનને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં કરોડો લોકોએ આજે એકતાના શપથ લીધા
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાદપૂજન કરીને કર્યો હતો. ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના મજબૂત કરતા વડાપ્રધાને કહ્યું કે એકતા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે; જ્યાં સુધી સમાજમાં એકતા છે, ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને એકતાની તાકાતથી વિફળ બનાવવું પડશે. ભારતની એકતાના ચાર મજબૂત આધારસ્તંભ છે: પ્રથમ, સાંસ્કૃતિક એકતા, જે હજારો વર્ષોથી રાજકીય પરિસ્થિતિઓથી અલગ ભારતને એક ચેતના રાષ્ટ્ર બનાવે છે.

રાષ્ટ્રીય એકતાનો ત્રીજો સ્તંભ ભેદભાવમુક્ત વિકાસ છે
ભારતની એકતાનો બીજો સ્તંભ ભાષાની એકતા છે, જ્યાં સેંકડો ભાષાઓ અને બોલીઓ દેશની ખુમારી, રચનાત્મક વિચારસરણી અને વિવિધતાનું જીવંત પ્રતીક છે. કોઈ સમાજ, સત્તા કે સંપ્રદાયે ક્યારેય ભાષાને હથિયાર બનાવીને એકને થોપવાનો પ્રયાસ કર્યો નથી. રાષ્ટ્રીય એકતાનો ત્રીજો સ્તંભ ભેદભાવમુક્ત વિકાસ છે, ગરીબી અને ભેદભાવ સામાજિક તાણાવાણાની સૌથી મોટી નબળાઈ છે. સરદાર પટેલ ગરીબી વિરુદ્ધ દીર્ઘકાલીન યોજના પર કામ કરવા માગતા હતા અને કહેતા કે જો આઝાદી 10 વર્ષ વહેલી મળી હોત, તો 1947 સુધીમાં ભારત અન્ન સમસ્યાના સંકટથી મુક્ત થઈ ગયું હોત. તેમણે રજવાડા વિલીનીકરણ જેવા પડકારને ઉકેલ્યા તેમ અન્નની અછતના પડકારને પણ હલ કર્યા હોત. આ સરકારે તેમના અધૂરા સંકલ્પને પૂરો કરીને એક દાયકામાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર તેમના માટે સર્વોપરી હતો
વધુમાં કહ્યું કે, એકતાનો ચોથો અને અંતિમ સ્તંભ કનેક્ટિવિટી – દિલોનું જોડાણ છે, જે આધુનિક ભારતને વિશ્વના કેન્દ્રમાં લાવી રહ્યો છે. રેકોર્ડ હાઈવે-એક્સપ્રેસવે, વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનો દ્વારા રેલને ટ્રાન્સફોર્મ કરી, નાના શહેરોને એરપોર્ટ્સથી જોડીને ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીના અંતરો ઘટાડ્યા છે. સરદાર પટેલ ઇતિહાસ લખવામાં સમય વેડફવા કરતા ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવાના હિમાયતી હતા. જેમણે નીતિઓ અને નિર્ણયો દ્વારા આઝાદી પછી 550થી વધુ રજવાડાઓને એકસૂત્રે બાંધી દેશને એક બનાવ્યો હતો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર તેમના માટે સર્વોપરી હતો. કેન્દ્ર સરકારની કાર્યનીતિમાં ભારતની એકતા-અખંડિતતાનો આ વિચાર મુખ્ય સ્થાને છે.
દેશની એકતાને નુકસાન પહોંચાડા વિચારોથી દુર રહેવું
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની એકતાને નુકસાન પહોંચાડે એવી વાતો કે વિચારોથી દુર રહેવું જોઇએ. આ માત્ર રાષ્ટ્રીય કર્તવ્ય જ નહી પરંતુ, સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ પણ છે. ભારત માતાની ભક્તિ એ દેશના દરેક નાગરિકો માટે સૌથી મોટી પૂજા છે અને આજના યુગમાં દેશની આ જરૂરિયાત છે, જે દરેક ભારતીય માટે સંદેશ, સંકલ્પ અને કાર્યપથનું માર્ગદર્શન કરે છે. તેમના નિધન પછીના વર્ષોમાં તત્કાલીન સરકારોમાં આ ગંભીરતા અને અડગતા ઓછી રહી હતી. કાશ્મીરમાં થયેલી ભૂલો, પૂર્વોત્તરમાં ઉભી થયેલી સમસ્યાઓ અને દેશભરમાં ફૂલેલો નક્સલવાદ-માઓવાદી આતંક દેશના સાર્વભૌમત્વ માટે પડકારરૂપ હતા. પરંતુ તત્કાલિન સરકારોએ સરદાર પટેલની નીતિઓને અનુસરવાને બદલે દેશના સાર્વભૌમત્વ પ્રત્યે આંખમિંચામણા કર્યા હતા. જેના વિપરીત પરિણામો હિંસા, રક્તપાત અને દેશના વિભાજનના રૂપમાં દેશે ભોગવ્યા હતા.

પીએમ મોદીએ તત્કાલીન સરકાર પર કર્યાં આકરા પ્રહાર
સરદાર પટેલ અખંડ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશિલ રહ્યા હતા. કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે સરદાર સાહેબે આપેલા સૂચનોનો જો અમલ કરવામાં આવ્યો હોત તો આજે સંપૂર્ણ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હોત. પરંતુ તત્કાલીન સરકારે તેમની આ ઈચ્છા પૂરી થવા દીધી નહીં. કાશ્મીરને અલગ વિધાન અને અલગ નિશાન આપી વિભાજિત કરવામાં આવ્યું, જે તત્કાલિન સરકારની લાચાર નીતિઓનું પરિણામ હતું. આ ભૂલની આગમાં દેશ દાયકાઓ સુધી સળગતો રહ્યો, કારણ કે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં ગયો અને ત્યાંથી રાજ્ય-પ્રાયોજિત આતંકવાદને હવા મળી, જેની કિંમત દેશે અનેક જીવનો અને સંસાધનોના રૂપમાં ચૂકવી હતી, તેમ તેમણે જણાવ્યું હતુ.

કોંગ્રેસે સરદાર પટેલના એક ભારતના વિઝનને ભૂલાવી દીધું હતું
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલના એક ભારતના વિઝનને ભૂલાવી દીધું હતું, પરંતુ 2014 પછી સમગ્ર દેશે તેમની પ્રેરણાથી અડગ ઈચ્છાશક્તિનો અનુભવ કર્યો છે. આર્ટિકલ 370ની બેડીઓ તોડી કાશ્મીરને સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યું છે, જેના કારણે પાકિસ્તાન અને આતંકના આકાઓને ભારતની અસલી તાકાતની સાચી ઓળખ થઈ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ સમગ્ર વિશ્વને બતાવ્યું કે જો કોઈ ભારત ઉપર આંખ ઊંચી કરશે, તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. દરેક વખતે પહેલા કરતા મોટો, વધુ નિર્ણાયક જવાબ આપે છે. આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે ક્યારેય સમજૂતી કરતું નથી.
અર્બન નક્સલીઓ અને તેમના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો
રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે છેલ્લા 11 વર્ષમાં ભારતની સૌથી મોટી સફળતા નક્સલવાદ-માઓવાદી આતંકની કમર તોડવાની છે, તેમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતુ કે, 2014 પહેલાં દેશની અંદર નક્સલીઓ પોતાની હકૂમત ચલાવતા, બંધારણનું પાલન થતું નહોતું, પોલીસ-પ્રશાસન લાચાર દેખાતું, રસ્તાઓ-સ્કૂલો-હોસ્પિટલો પર હુમલા થતા અને નવા ફરમાન જારી થતા. પરંતુ આ સરકારે તેના ઉપર પ્રચંડ પ્રહાર કર્યા, અર્બન નક્સલીઓ અને તેમના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો, વૈચારિક લડાઈ જીતી અને નક્સલી વિસ્તારોમાં જઈને તેને મ્હાત આપી.

માતૃભારતીની સાધના દરેક દેશવાસીની સૌથી મોટી આરાધના છે
સરદાર પટેલની ભાવના યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે તેઓને સૌથી વધુ ખુશી દેશ માટે કામ કરવામાં મળતી હતી, અને આજે પણ આ જ આહ્વાન છે – માતૃભારતીની સાધના દરેક દેશવાસીની સૌથી મોટી આરાધના છે. જ્યારે 140 કરોડ ભારતવાસીઓ એકસાથે ઊભા થાય છે, તો ખડકો પણ રસ્તો છોડી દે છે; જ્યારે એક સ્વરમાં બોલે છે, તો તે શબ્દો ભારતની સફળતાનો ઉદ્ઘોષ બને છે. આપણે વહેંચાશું નહીં, નબળા પડીશું નહીં; ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત કરી વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપના પૂરા કરીશું. આ વેળાએ સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…લોખંડી પુરુષની 150 મી જયંતિ; વડા પ્રધાન-રાષ્ટ્રપતિ સહીત અગ્રણી નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી
 
 
 
 


