1971ના યુદ્ધના સાક્ષી રહેલા ઓખાના નાગરિકોને યાદ આવી ગયા એ દિવસો, જાણો શું કહ્યું?

ઓખા: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં તણાવ વધ્યો છે. આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ સીમા પર પાકિસ્તાની હુમલા બાદ ભારતે પણ આકરો જવાબ આપ્યો છે.
બંને દેશ વચ્ચે યુદ્ધનાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનાં પશ્ચિમ કાંઠે ઓખામાં આજે પણ કેટલાક નાગરિકો છે કે જેઓ 1971ના યુદ્ધની સાક્ષી છે. તો ચાલો જાણીએ શું કહ્યું તેમણે?
આપણ વાંચો: યુદ્ધ કે સાઈડ ઈફેક્ટઃ 1971ના યુદ્ધ વખતે શું હતી લોકોની સ્થિતિ?
લોકો ઓખા છોડીને દ્વારકા જતા રહ્યા હતા
વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની ઘણી વાતો આજે પણ લોકોના મનમાં તાજી છે. ઓખાના ત્રણ વડીલો – અનુપમભાઈ બારાઈ, પ્રવીણભાઈ ગોકાણી અને પ્રભુદાસભાઈ સોલંકીએ એ સમયના ભયાનક દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે ઓખામાં ફાઇટર જેટના હુમલા થયા હતા અને રેડિયો દ્વારા યુદ્ધ શરૂ થયાની જાણકારી મળી હતી.
તેમણે કહ્યું તે સમયે ઓખા બંદરે બ્રિટિશ કંપનીના ફ્યુલ ટેન્ક આવેલા હતા. સાંજે રેડિયો પરથી યુદ્ધ શરૂ થયાના સમાચાર મળ્યા ત્યારે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ઘણા લોકો ઓખા છોડીને 30 કિલોમીટર દૂર આવેલા દ્વારકા ચાલ્યા ગયા હતા.
આપણ વાંચો: વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સને મદદ કરનારી મહિલાએ કરી આ માંગ…
કરાંચી બંદરને ધ્વસ્ત કરી દીધું
તેમણે ભારતીય નૌસેનાની જવાબી કાર્યવાહીને પણ યાદ કરી હતી અને કહ્યું હતું કે કરાંચી બંદરને તબાહ કરી દેવામાં આવ્યું હતું. ઓખા બંદરેથી ભારતીય નૌસેનાના મોટા જહાજો ઉપડ્યા હતા અને તેમણે કરાંચી બંદરને ધ્વસ્ત કરી દીધું હતું.
ઓખા બંદર કરાંચીથી 210 નોટિકલ માઈલના અંતરે આવેલું છે અને આ ગામમાં લોકોની વસ્તી હોવાને કારણે જ કદાચ ડિસેમ્બર 1971માં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો.

આપણ વાંચો: ચાર-ચાર યુદ્ધમાં ‘લપડાક’ ખાધા પછી પણ ‘હમ હૈ પાકિસ્તાની’, નહીં સુધરેંગે!
હવાઈ હુમલા પોતાની આંખે નિહાળ્યા
અનુપમભાઈએ જણાવ્યું કે તે સમયે તેમની ઉંમર લગભગ 17-18 વર્ષની હતી અને તેમણે દરરોજ હવાઈ હુમલા પોતાની આંખે નિહાળ્યા હતા. તેઓ સવારે 8 વાગ્યા પછી ગામમાં આવતા અને સાંજે અંધારું થાય તે પહેલાં ગામ છોડી દેતા હતા.
આ યુદ્ધ લગભગ 14-15 દિવસ ચાલ્યું હતું અને ભારતીય નૌસેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ગામ અને બંદરને કોઈ મોટું નુકસાન થયું નહોતું, કારણ કે અહીં ભારતીય નૌસેનાનો કાફલો તૈનાત રહેતો હતો.
પ્રવીણભાઈએ જણાવ્યું કે તે સમયે ઓખા બંદર દરિયાઈ વેપારનું મોટું કેન્દ્ર હતું. ઓખાની નજીક ભારતીય વાયુસેનાનું કોઈ સ્ટેશન નહોતું. તે સમયે લોકોએ ગામમાંથી સ્થળાંતર કર્યું હતું, પરંતુ હવે તેવી કોઈ પરિસ્થિતિ નથી. યુદ્ધનાં સાક્ષી રહેલા વડીલોએ 1971ના યુદ્ધના સંસ્મરણોને વાગોળ્યા હતા અને ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી હતી.