આપણું ગુજરાત

નર્મદા જિલ્લામાં આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી, પીએમ મોદી રહેશે હાજર

વડાપ્રધાન કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

નર્મદાઃ જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. આગામી 15 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે.

પીએમ મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરશે

આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ₹7667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી ₹2112 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવંત પ્રસારણ રાજ્યના આદિજાતિ જિલ્લાના 23 તાલુકાઓમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી: હજારો શ્રમિકોના આંદોલનની સરકાર પર ચીમકી…

રાજ્ય સરકાર તરફથી ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો

  1. માર્ગ અને મકાન વિભાગ : મોવી-ડેડિયાપાડા રોડ, અવધા-તુતરખેડ રોડ, બારડોલી-મહુઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા-ડભોઇ રોડ પર R.O.B.L.C (રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ), હાંસપોર અબ્રામા અમલસાડ રોડ પર એરુ ચાર રસ્તા પાસે મેજર બ્રિજનું પુન:નિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી, સુરખાય-અનાવલ- ભીનાર રોડ અને સિંધરોટ – શેરખી – કોયલી રોડને ફોર લેન કરવાની કામગીરી
  2. શહેરી વિકાસ વિભાગ: વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નિર્માણ, કોયલી ટીપી સ્કિમ ખાતે ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્ક, આણંદના ખંભાતમાં પાણી પુરવઠા યોજના અને સુરતમાં મહારાણા પ્રતાપ જંક્શન (લિંબાયત ઝોન) ખાતે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ
  3. સ્વાસ્થ્ય વિભાગ: પંચમહાલના હાલોલમાં 100 બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ
  4. જળ સંસાધન વિભાગ: વડોદરામાં વાઘોડિયા ખાતે આજવા સરોવર પર બાંધનું નિર્માણ

રાજ્ય સરકાર તરફથી લોકાર્પણ થનારા વિકાસકાર્યો

  1. માર્ગ અને મકાન વિભાગ : ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ, તાપીમાં રિસર્ફેસ થયેલ ઉચ્છલ-નિઝર રોડ
  2. પાણી પુરવઠા વિભાગ: છોટાઉદેપુરમાં હાંદોડ અને રોઝકુવા ખાતે પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગતના કાર્યો
  3. ગ્રામ વિકાસ વિભાગ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર રાજ્યમાં 61,125 આવાસોનું લોકાર્પણ
  4. શહેરી વિકાસ વિભાગ: નવસારી મહાનગરપાલિકામાં મોડર્ન ટાઉનહોલ
  5. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ: નર્મદામાં સ્માર્ટ ગ્રીન તાલુકા લાઇબ્રેરી

વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

કેન્દ્ર સરકાર તરફથી આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે 4 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને 6 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. રૂપિયા 3777 કરોડના ખર્ચે 190 આશ્રમ શાળાઓ, 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 14 ટ્રાઇબલ મલ્ટી માર્કેટિંગ કેન્દ્રો અને 748 કિ.મી રોડ કનેક્ટિવિટી (6 કિ.મી બ્રિજ સાથે) પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પણ વાંચો : પીએમ મોદી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 15 નવેમ્બરના રોજ સમીક્ષા કરશે…

પીએમ મોદી સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ પણ કરશે

આ સાથે સાથે પીએમ મોદી આવતીકાલે સુરતના બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનનું પણ નિરીક્ષણ કરવા માટે જશે. સાથે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) ની પ્રગતિની સમીક્ષા પણ કરશે તેવું જાણવા મળ્યું છે. 465 કિમી લાંબા આ માર્ગમાંથી અત્યાર સુધીમાં 326 કિમીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે 25માંથી 17 નદીઓ પરના બ્રિજનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર આશરે 508 કિલોમીટર લાંબો છે, જેમાંથી 352 કિલોમીટર ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button