નારાયણ સાંઈને હાઈ કોર્ટમાંથી રાહત: બીમાર માતાને મળવા 5 દિવસના વચગાળાના જામીન મંજૂર

અમદાવાદઃ દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇ કોર્ટમાંથી રાહત મળી હતી. 82 વર્ષીય બીમાર માતાની સારવાર માટે 45 દિવસના હંગામી જામીન માગ્યા હતા. નારાયણ સાંઈની હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈ કોર્ટે 5 દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા હતા. જામીન દરમિયાન નારાયણ સાંઈ અમદાવાદમાં તેના માતાના ઘરે જ રોકાઈ શકશે. પરંતુ તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં.
નારાયણ સાંઈના વકીલે રજૂઆત કરી હતી કે, અગાઉ બીમાર પિતા આસારામને મળવા માટે 5 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતા. હાલ, અરજદારના કાર્ડિયાક અરેસ્ટથી પીડિત બીમાર માતાને મળવા માટે 45 દિવસના જામીન આપો.
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને 5 દિવસના કામચલાઉ જામીન મળ્યા…
જોકે, હાઈ કોર્ટે 45 દિવસના જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને શરતો સાથે 5 દિવસના જામીન મંજૂર કર્યા હતા. જેલમાંથી છૂટશે ત્યારથી જામીન ગણાશે. જામીન દરમિયાન તે ફક્ત તેના માતાના ઘરે જ રોકાઈ શકશે, બીજી કોઈ જગ્યાએ નહીં. સુરતની લાજપોર જેલમાંથી છુટ્યા બાદ અમદાવાદ તેના માતાના ઘર પર આવશે.
નારાયણ સાંઈ જામીનની શરતોનો ભંગ ન કરી શકે તે માટે તેમને પોલીસના કડક જાપ્તા હેઠળ રાખવામાં આવશે. હાલમાં નારાયણ સાઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે, જ્યાં તેઓ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ જામીન તેમની માતાની ગંભીર બીમારીને ધ્યાનમાં રાખીને માનવીય આધાર પર આપવામાં આવ્યા હતા.