
વડોદરાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન એક કાર્યક્રમમાં હોબાળો થયો હતો. મુખ્ય પ્રધાન કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માગીએ છીએ, કોઇ મળવા દેતું નથી.
જે બાદ મુખ્ય પ્રધાને કહ્યું, તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યાં છો, મને મળીને જ જજો. સોમવારે આવી જા, આજે પણ હું મળીશ. મારે લખેલું તૈયાર હોય છે છતાં આજે મારે એમને એમ બોલવાનું થઈ ગયું. પહેલાંનો અને હાલનો વિકાસ ચેક કરી લો. આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
આપણ વાંચો: ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, વિદ્યાર્થીઓએ કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા..
મુખ્ય પ્રધાનનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતાં પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.
વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કે, મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ. અમારી વાત કોઈ સાંભળતું નથી. અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ? ગુનેગાર છીએ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.
આ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી. બેઠક બાદ મંગલપાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્ય પ્રધાને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.